જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના છોડવડી ગામમાં 66કેવીનો વીજ વાયર અકસ્માતે તૂટીને બાઇક ચાલક પર પડતાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. બાઈક ચાલક છોડવડી ગામ નજીક આવેલી વીજ કચેરી પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે વીજળીને પ્રવાહિત કરી રહેલો એક વીજતાર અકસ્માતે થાંભલા પરથી છૂટીને સીધો આધેડ પર પડતાં તેનુ ઘટનાસ્થળે જ મોત થયું હતું. વીજ કંપનીની બેદરકારી સમાન આ કિસ્સામાં એક આધેડે તેનો જીવ આપીને વીજ કંપની દ્વારા રાખવામાં આવતી બેદરકારીની આકરી કિંમત ચૂકવવી પડી છે.
વીજ કંપની દ્વારા જાહેર માર્ગો અને શહેરમાંથી પસાર થતી વીજળીની લાઇનનું સમયાંતરે ચેકિંગ કરવામાં આવતું હોય છે. અને જે વીજ લાઈન નબળી જણાય તો તેને બદલવાની જવાબદારી પણ વીજ કંપનીઓને શિરે હોય છે. ત્યારે આ વીજ કંપનીની બેદરકારીનો ભોગ છોડવડી ગામનો આધેડ બન્યો હતો. જેને લઇને છોડવડી સહિતના આસપાસના ગામ લોકોમાં વીજ કંપની વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો હતો.