ગાંધીનગરઃ અશ્વિનીકુમારે કહ્યું કે, કોરોના વાયરસના વધતા વ્યાપ વચ્ચે પણ પ્રજાજનો નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે રાજ્યની નગરપાલિકા-મહાનગરપાલિકાના સફાઇ અને આરોગ્ય કર્મીઓ અહર્નીશ સેવારત છે. આવા કર્મીઓને ફરજ દરમ્યાન જો કોરોના વાયરસ સંક્રમણનો ભોગ બનવાવારો આવે અને જાન ગુમાવવો પડે તો રાજ્ય સરકાર તેમના પરિવારની પડખે ઊભી રહેશે.આવી કમનસીબ ઘટનાનો ભોગ બનનારા કર્મીઓને રૂ. 25 લાખની સહાય રાજ્ય સરકાર આપશે.
રેવન્યુ-મહેસૂલી કર્મીઓમાંથી પણ જો કોઇને ફરજ દરમ્યાન કોરોના વાયરસનો ચેપ લાગવાથી મૃત્યુ થાય તો તેમના પરિવારને પણ આવી વિપદામાં રાજ્ય સરકાર 25 લાખ રૂપિયાની સહાય ચુકવશે. હાલની લોકડાઉનની સ્થિતીમાં રાજ્યના ગરીબ-અંત્યોદય પરિવારો સહિત સૌને જીવનજરૂરી અનાજ-ચીજવસ્તુઓનો પુરવઠો પહોચાડવા માટે કાર્યરત અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના કર્મીઓ તેમજ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી અંત્યોદય, ગરીબો, PHH સહિતના કાર્ડધારકોને અનાજ વિતરણ સાથે સંકળાયેલા દુકાનધારકોને પણ જો તેમની ફરજો-સેવા દરમ્યાન કોરોનાના સંક્રમણથી ભોગ બની જાન ગુમાવવા વારો આવે તો તેમને પણ રૂ.25 લાખની સહાય રાજ્ય સરકાર આપશે.
લોકડાઉનમાં અને ત્યાર બાદ પણ રાજ્યમાં ખાદ્યતેલની અછત ન સર્જાય તે માટે કપાસ જીનીંગ અને ઓઇલ મિલ્સને ચાલુ રાખવામા આવશે. રાજ્યમાં ખાદ્યતેલના ઉત્પાદનને વિપરીત અસર ન પહોચે તેમજ અછતની સ્થિતી ન ઊભી થાય તેવા હેતુથી કપાસની જીનિંગ પ્રોસેસ માટે જીનિંગ મિલ્સ, પિલાણ તેમજ પેકિંગ માટે કપાસ ઓઇલ મિલ્સ અને આ સમગ્ર પ્રક્રિયામાં જોડાયેલી કામગીરી સાથે જોડાયેલા એટલે કે ખેડૂતો વેપારીઓ દ્વારા કપાસ જીનિંગ મિલ સુધી લઈ જવા અને મિલ્સમાંથી કપાસિયા ઓઇલ મિલ્સ સુધી લઈ જવામાં પરિવહન અને આ પ્રક્રિયામાં જોડાયેલી અન્ય કામગીરી લોકડાઉન દરમ્યાન કરી શકાશે.