અમદાવાદ: અમદાવાદમાં દશેરાના દિવસે હજારો વાહનો વેચાયાના અહેવાલો આવે છે. પ્રથમ નોરતાથી લઇને દશેરાની સાંજના પાંચ વાગ્યા સુધીમાં કુલ 9,000 હજાર વાહનો વેચાયાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. અનેક વાહન ધારકોએ તો નવરાત્રી પહેલા વાહનોનું બુકિંગ કર્યું હતુ પણ તેની ડિલિવરી દશેરાના શુભ દિવસે લઈને જીવનનો યાદગાર પ્રસંગ બનાવ્યો છે. આમ પણ અમદાવાદ અને દેશમાં દશેરાના દિવસે ઘર, વાહન અને મિલ્કત ખરીદવાની જૂની પરંપરા રહી છે. જેના કારણે હાલ અમદાવાદના ઓટો ડિલરને ત્યાં દિવાળી પહેલાં તેજીની દિવાળી આવી છે. જોકે સમગ્ર ગુજરાતની વાત કરીએ તો 40થી 45 હજાર ટુ વ્હીલર અને 10થી 11 હજાર ફોર વ્હીલર ગાડીઓનું વેચાણ થયું છે.
વાહન ખરીદનારને નંબર પ્લેટ સાથે વાહનની ડિલિવરી: સામાન્ય રીતે અમદાવાદ સહિત દેશમાં વાહન ખરીદારને વાહન તો ઓટો ડીલરને ત્યાંથી સત્વરે પ્રાપ્ત થઈ જાય છે પણ વાહનની RTOથી નંબર અને તેની અધિકૃત નંબર પ્લેટ 10 કે 15 દિવસમાં મળે છે. આ દશેરાએ નવું વાહન ખરીદનાર ગ્રાહકને RTO માન્ય HSRP નંબર પ્લેટ સાથે જ વાહનો ખરીદ કર્યા બાદ ડિલિવરી સમયે પ્રાપ્ત થતાં વાહન ખરીદનારોમાં ઉત્સાહ વધેલો જોવા મળ્યો છે. રાજ્યમાં પ્રથમ વખત નંબર પ્લેટ સાથે વાહનની ડિલિવરી પ્રાપ્ત થતી હોવાથી ગત વર્ષની સરખામણીએ 15 ટકા વાહનોનું વેચાણ નોંધાયું છે.
ગત વર્ષ કરતાં વાહનોના વેચાણમાં 15 ટકાનો વધારો નોંધાયો: કોરાના કાળ બાદ આ વર્ષે વાહનોના વેચાણમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. આ વર્ષે દશેરાના દિવસે વાહનની ડિલિવરી પ્રાપ્ત કરવા ઇચ્છતા અનેક લોકોએ જન્માષ્ઠમી બાદ અને નવરાત્રી દરમિયાન ઓટો ડિલરો પાસેથી વાહનો નોંધાવ્યા હતા. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઇલેક્ટ્રીકલ વેઇકલમાં વધારો નોંધાયો છે. સાથે ટુ-વ્હીલર અને ફોર વ્હીલરના વેચાણમાં સરેરાશ 15 થી 17 ટકાનો વધારો નોંધાયો હોવાનું જણાય છે.