અમદાવાદઃ શહેરના નરોડામાં રહેતી 25 વર્ષીય યુવતીના વર્ષ 2016માં મેઘાણીનગર ખાતે રહેતા એક યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ તે તેના સાસરિયાઓ સાથે રહેતી હતી અને લગ્ન બાદ તેને એક દીકરાને જન્મ આપ્યો હતો. પરંતુ સાસરીમાં ઘરકંકાસ શરૂ થતા આ પરિણીતા તેના પતિ સાથે અલગ મકાનમાં રહેવા ગઇ હતી. આ દરમિયાન તેના પતિ તેની પર શંકા રાખી તેની સાથે ઝઘડા કરતો હતો અને માર મારી તું નથી ગમતી અને દહેજમાં પણ કઈ લાવી નથી તેમ કહી ત્રાસ આપતો હતો.
રક્ષાબંધનના તહેવાર દરમિયાન આ પરિણીતા તેના માતા પિતાને ઘરે ગઈ હતી, ત્યારે પણ તેના પતિએ ઝઘડો કર્યો હતો અને તેને પિયર મૂકી ગયો હતો. આમ અવારનવાર આ પરિણીતાએ તેના પતિનો ત્રાસ સહન કરતા તે નિકોલ પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં તેણે તેના પતિ વિરુદ્ધ માં એનસી ફરિયાદ નોંધાવી હતી. બાદમાં તેણે નરોડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે. જો કે નરોડા પોલીસે ઉચ્ચ અધિકારીઓના આદેશ બાદ ફરિયાદ નોંધી હતી. પરંતુ પરિણીતાના પરિવારનો આક્ષેપ છે કે, માત્ર પતિ જ નહીં પરંતુ સાસરિયાઓ પણ ત્રાસ આપતા હોવા છતા તે લોકોના નામ ફરિયાદમાં લખ્યા ન હતા. ત્યારે તપાસ કરનાર અને ફરિયાદ લેનાર પીએસઆઇની કાર્યવાહી પર અનેક શંકાઓ ઉપજી રહી છે.

પરંતુ આ પરિણીતાનો અને તેના પરિવારજનોનો આક્ષેપ છે કે તેને ન માત્ર તેનો પતિ પરંતુ તેના સાસુ સહિતના સાસરીયાઓ ત્રાસ આપતા હોવા છતાં પોલીસે ફરિયાદમાં માત્ર પતિનું નામ લખી ભીનું સંકેલવાનો પ્રયાસ કર્યો હતો. આટલું જ નહીં પરંતુ શરૂઆતમાં ફરિયાદ લેવા માટે નરોડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ જશુભાઈ કામળિયાએ ગલ્લા તલ્લા કર્યા હતા અને ભીનું સંકેલવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરાયા બાદ પીએસઆઇને ફરિયાદ લેવાની ફરજ પડી હતી. પરંતુ હજુ પીએસઆઇએ તેમના ઉચ્ચ અધિકારીઓનો આદેશ અવગણીને માત્ર પરિણીતાના પતિ સામે જ ફરિયાદ નોંધતા પોલીસની કાર્યવાહી પર અનેક શંકાઓ ઉપસ્થિત થઈ રહી છે.