અમદાવાદ : વર્ષ 1411 માં અમદાવાદ શહેરની સ્થાપના થઈ અને શહેરની પ્રથમ ઈંટ જ્યાં મૂકવામાં આવી તે સ્થળ એટલે માણેક બુરજ. વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો પામેલ અમદાવાદ શહેરના ઈતિહાસમાં પ્રથમવાર અમદાવાદના 614 ની સ્થાપના દિવસે નગરદેવી માં ભદ્રકાળી નગરયાત્રાએ નીકળ્યા હતા. આ સાથે જ માણેક બુરજ ખાતે શહેરના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આવો જાણીએ માણેક બુરજ અને અમદાવાદની સ્થાપનાનો ઇતિહાસ...
અમદાવાદના "માણેક" બુરજનો ઈતિહાસ...
અમદાવાદની સ્થાપના અને કોર્ટની દીવાલ ચણવામાં જેનો બહુ જ મોટો ફાળો છે એવા માણેકનાથ બાબાની સમાધિ એટલે માણેક બુરજ. દર વર્ષે 26 ફેબ્રુઆરી, અમદાવાદ શહેરના સ્થાપના દિવસે માણેકનાથના વંશજો અહીં પૂજા કરે છે. માણેકપુર બુરજ અથવા માણેક બુર્જ ગઢ ભદ્રના કિલ્લાના પાયાનું નિર્માણ છે. આ નામ 15 મી સદીના પ્રસિદ્ધ હિંદુ સંત માણેકનાથની યાદગીરીમાં આપવામાં આવ્યું છે.
ઈ.સ. 1411માં બાદશાહ અહમદશાહને ભદ્રનો કિલ્લો બંધાવવામાં વિક્ષેપ પડ્યો હતો, ત્યારે માણેકનાથે તેઓને મદદ કરી હતી. માણેક બુર્જ એ અમદાવાદ શહેરની પાયાની ઈમારત છે. અમદાવાદ શહેરના પાયાના પથ્થરની ફરતે બાંધવામાં આવ્યો છે. આ બુર્જ બહારની બાજુએ 53 ફૂટ ઊંચો છે, જેની બાજુ માસ 77 ફૂડ પરિધની માણેક કુવા તરીકે ઓળખાતી વાવ છે.

ઉલ્લેખનીય છે કે, સાબરમતી નદીના પ્રવાહમાં થયેલા ફેરફાર દરમિયાન આ વાવ સુકાઈ ગઈ હતી અને વર્ષ 1866 માં તેને ભરવામાં આવી હતી. બુરજ નજીક એક પાણીની નહેર હતી, જે તે સમયે કિલ્લામાં શાહી સ્નાન માટે પાણી લાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. વર્ષ 1969 માં બુર્જની નજીક સૌપ્રથમ એલિસ બ્રિજ સાબરમતી નદી પર બાંધવામાં આવ્યો. ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 1989 ના સમયમાં એલિસ બ્રિજ અને તેની આસપાસનો વિસ્તાર કુદરતી પાણીના વહનને સુરક્ષિત સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.
કર્ણાવતી નગર કેવી રીતે બન્યું અમદાવાદ...
અમદાવાદ પહેલા કર્ણાવતી નગર કહેવાતું અને કર્ણાવતીમાંથી કેવી રીતે અમદાવાદ નામ બદલાયું તેને લઈને અનેક લોકવાયકા છે. અમદાવાદને લઈને એક કહેવત જાણીતી છે કે '"જબ કુત્તે પર સસ્સા આયા, તબ બાદશાહને શહર બસાયા". અમદાવાદ પહેલા કર્ણાવતી નગરી કહેવાતી અને 14 મી સદીમાં 26 ફેબ્રુઆરીએ બાદશાહ અહમદશાહે આ નગરી વસાવી, એટલે કર્ણાવતી નગરીનું નામ અહમદશાહના નામ પરથી અમદાવાદ પડ્યું.

અમદાવાદના 614 મા સ્થાપના દિવસની ઉજવણી : અમદાવાદના 614 મા સ્થાપના દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યા છે. પ્રથમવાર નગરદેવી માં ભદ્રકાળી નગરયાત્રા નીકળી હતી. આ ઉપરાંત માણેક બુરજ ખાતે મેયર પ્રતિભા જૈન અને માણેકનાથના વંશજ ચંદનનાથ સાથે કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓએ પુષ્પ અર્પણ કરી ધ્વજ પૂજા કરી.

અમદાવાદના મેયર પ્રતિભા જૈને જણાવ્યું કે, નગરજનો માટે ગૌરવની વાત છે કે આજે અમદાવાદ શહેરનો સ્થાપના દિવસ છે. આજે માણેકનાથજીના બુરજ એટલે માણેક બુરજ ખાતે ધજા પર પુષ્પવર્ષા કરી અમદાવાદ શહેરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ રહે તેવી પ્રાર્થના કરી તથા માણેકનાથજીના આશીર્વાદ લીધા છે. હું બધાને આજના દિવસની શુભકામનાઓ પાઠવું છું.
માણેકનાથના વંશજ ચંદનનાથે જણાવ્યું હતું કે, આજે અમદાવાદ શહેરના સ્થાપના દિવસે માણેક બુરજ પર અમદાવાદના મેયર અને કોર્પોરેશનના અધિકારીઓએ આરતી અને પુષ્પ વર્ષા કરી, સાથે જ અમદાવાદ શહેર પ્રગતિ અને સમૃદ્ધિ સાથે આગળ વધે એવી પ્રાર્થના કરી.