ગોંડલના 'પાટ'ખિલોરી ગામના સ્મશાનમાંથી પાટની જ થઇ ચોરી
રાજકોટ: રાજ્યના વનવિભાગ દ્વારા ગામડાઓના સ્મશાન ગૃહોમાં માણસોને અગ્નિસંસ્કાર કરવા માટેના ખાટલાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. ત્યારે ગોંડલના પાટખિલોરી ગામે સ્મશાનગૃહમાં વનવિભાગ દ્વારા આપવામાં આવેલ આવો જ એક લોખંડનો ખાટલો તસ્કરો ચોરી ગયા હોવાની ઘટના બની છે. સ્મશાનમાં મનુષ્યના અગ્નિસંસ્કાર માટેના અંદાજે રૂપિયા 70 થી 80 હજારની કિંમતના ખાટલાની ચોરી થતાં ગામના સરપંચે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને આ બનાવની જાણ વનવિભાગને પણ કરી હતી. આમ ગોંડલ પંથકમાં બેફામ બનેલ તસ્કરોએ સ્મશાનગૃહને પણ છોડ્યું ન હતું.