વડોદરા જિલ્લાના વિવિધ ગામડાઓમાં સ્વયંભૂ લોકડાઉન કરાયું જાહેર
વડોદરા: સમગ્ર દેશ કોરોના મહામારીનો સામનો કરી રહ્યા છે. કોરોના મહામારીના કારણે શહેરોની સ્થિતિ ખૂબ જ ભયાનક થઈ છે. તેવામાં કોરોનાકાળથી બચવા ગામડાઓ સ્વૈચ્છિક લોકડાઉન કરી રહ્યા છે. નંદેસરી, અનગઢ, કોટના, દામાંપુરા, સોખડા જેવા ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન લગાવવા અંગેની અગત્યની મિટિંગનું આયોજન નંદેસરી પોલીસ મથકમાં કરવામાં આવ્યું હતું. નંદેસરી પોલીસ મથકમાં યોજાયેલી મિટિંગમાં નંદેસરી સરપંચ દિલીપ સિંહ ગોહિલ,અનગઢ સરપંચ રાજેન્દ્ર સિંહ ગોહિલ, દામાપુરા-રઢીયા પુરા સરપંચ હીનાબેન જસવંત સિંહ પઢીયાર, નંદેસરી તાલુકા પંચાયત સભ્ય રાજેન્દ્રસિંહ મગલ સિંહ ગોહિલ,અનગઢ જિલ્લા પંચાયત સભ્ય, સોખડા જિલ્લા પંચાયત સભ્ય કિરણ સિંહ મહિડા,કોટના ગામના સરપંચ નીતિન ઠક્કર તથા તમામ ગામોના આગેવાનો અને વેપારીઓ હાજર રહ્યા હતા. આ તમામ ગામમાં આવતી કાલ 27 એપ્રિલથી 3 મેના રોજ સુધી બપોરે 2 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ગામોના બજારો બંધ રાખવા અને ગ્રામજનોને વગર કામે બહાર નહીં નીકળવા માટે સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી.