પાટણમાં ઈદ-એ-મિલાદની ઉજવણી, શહેરમાં જુલૂસ નીકળ્યું - patan news
પાટણઃ વિશ્વને સદભાવના, એકતા, શાંતિ અને સ્ત્રી સન્માનનો સંદેશો આપનાર ઈસ્લામ ધર્મના પયગંબર હઝરત મોહંમદ મુસ્તફાના જન્મદિન ઈદ એ મિલાદની ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ ઝુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. શહેરમાં ઈકબાલ ચોકથી ઈદ એ મિલાદનાં ઝુલુસને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતુ. આ ઝુલુસ શહેરના વિવિધ માર્ગો પર થઇ ઇકબાલ ચોક ખાતે પરત ફર્યું હતું. ઝુલુસમાં સામેલ ગુમ્બદેખિંજરાની કલાકૃતિવાળી બે કૃતિઓ અને મસ્જિદે નબવિની કૃતિના વિવિધ વિસ્તારના લોકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણાએ મુસ્લિમ બિરાદરોને શુભેચ્છાઓ પાઠવી હતી. જુલૂસમાં સામેલ યુવાનો હાથમાં ઝંડા લઈ નબી સાહેબની યાદમાં ઝુમી ઉઠ્યા હતા. હિન્દુ મુસ્લિમ અંકિદમંદો એ ગુંબદે ખિંજરા ઉપર પુષ્પવર્ષા કરી હતી. મુસ્લિમ બિરાદરોએ દેશની પ્રગતિ, સમૃદ્ધિ, અને એકતા માટે પ્રાથના કરી હતી.