ભરૂચમાં નર્મદાએ ભયજનક સપાટી વટાવી, સીઝનમાં પ્રથમવાર નર્મદા બે કાંઠે - નર્મદા નદી ભયજનક સપાટીને પાર
ભરૂચ: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની વિપુલ માત્રામાં આવકના પગલે ડેમના 23 દરવાજા ખોલી ડેમમાંથી 8 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે ભરૂચ નજીક નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીનું જળ સ્તર 24 ફૂટની ભયજનક સપાટીને પાર કરી જતા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. નર્મદા નદીનું જળ સ્તર વધતા ભરૂચના ઝઘડિયા, અંકલેશ્વર અને ભરૂચ તાલુકા તેમજ શહેર મળી 1387 જેટલા લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. સીઝનમાં પ્રથમ વખત નર્મદા નદી બે કાંઠે થતા આહલાદક દ્રશ્યો જોવા મળ્યાં હતાં.
Last Updated : Aug 30, 2020, 10:11 AM IST