Ganesh Mahotsav 2023: સુરતમાં 'લાલબાગ કા રાજા' અને 'દગડુ શેઠ' ગણેશજી માટે સોનાના ગુલાબના હાર બનાવાયા - ગણેશ મહોત્સવ 2023
Published : Sep 22, 2023, 6:21 PM IST
સુરત: શહેરમાં દર વર્ષે ગણેશ મહોત્સવમાં 'લાલબાગ કા રાજા' અને 'દગડુ શેઠ' ગણેશજી ચર્ચાનો વિષય બનતા હોય છે. આ વખતે પણ બંને પ્રખ્યાત ગણેશ પંડાલ 'ટોક ઓફ ધી ટાઉન' બની રહેશે તેમાં કોઈ બેમત નથી. કારણ કે આ બંને પંડાલના ગણેશજીને સોનાના ગુલાબોમાંથી બનાવાયેલા હાર ચઢાવવામાં આવશે.
ગણેશજીને વિશેષ ભેટઃ સુરતના દીપ ચોક્સી નામના જ્વેલર 'લાલબાગ કા રાજા' અને 'દગડુ શેઠ' ગણેશજી માટે સોનાના હાર તૈયાર કર્યા છે. 'લાલબાગ કા રાજા' ગણેશજી માટે 225 ગોલ્ડ પ્લેટેડ ગુલાબોનો કુલ 9 ફિટ લાંબો હાર બનાવવામાં આવ્યો છે. 'દગડુ શેઠ' ગણેશજી માટે 125 ગોલ્ડ પ્લેટેડે ગુલાબોનો કુલ 6 ફિટ લાંબો હાર તૈયાર કરવામાં આવ્યો છે.
કુલ 350 ગોલ્ડ પ્લેટેડ ગુલાબો વપરાયાઃ જ્વેલર આ બંને ગણેશ પંડાલના દર્શનાર્થે જવાના છે. જેમાં તેઓ કંઈક વિશેષ ભેટ અર્પણ કરવા માંગતા હતા. આ જ્વેલરે આ વર્ષે ગણેશજીના વિશેષ આશીર્વાદ મેળવવા માટે સોનાના હાર ચઢાવવાનું નક્કી કર્યુ છે. જેમાં 'લાલબાગ કા રાજા' માટે 9 ફિટ અને 'દગડુ શેઠ' માટે 6 ફિટ લાંબા હાર તૈયાર કરવામાં આવ્યા છે. આ બંને હારના નિર્માણમાં કુલ 350 ગોલ્ડ પ્લેટેડ ગુલાબોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.