Karjan Dam Overflow : કરજણ ડેમના ઉપરવાસમાં સારો વરસાદ થતાં ભરૂચ અને નર્મદાની જીવાદોરી છલકાઇ, વર્ષની નિરાંત - ભરૂચની જીવાદોરી
Published : Sep 20, 2023, 3:21 PM IST
નર્મદા : નર્મદા જિલ્લાના કરજણ ડેમની જળ સપાટીમાં વધારો થતાં કરજણ ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યાં હતાં. હાલ ડેમના 3 ગેટ 0.6 મીટર ખોલીને કરજણ નદીમાં 16,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. કરજણ ડેમના ઉપરવાસ દેડીયાપાડા અને સાગબારામાં સારો વરસાદ પડતાં પાણીની આવક 6,750 ક્યુસેક થઈ રહી છે. જેને લઈને કરજણ ડેમની પાણીની હાલની સપાટી 113.45 મીટર પર પહોચી જતાં રૂલ લેવલ પર પહોંચતા કરજણ ડેમના ત્રણ ગેટ ખોલીને પાણીની જાવક શરુ કરવામાં આવી હતી. લગભગ 16,500 ક્યુશેક પાણી કરજણ નદીમાં છોડવામાં આવતાં કરજણ નદી બે કાંઠે વહેતી થઇ હતી. નર્મદા જિલ્લાના કરજણ કાંઠાના હજરપર, ધાનપોર, ભદામ સહિત 16 ગામો જોકે સાબદા કરાયા છે. હાલ કરજણ ડેમ લાઈવ સ્ટોરેજ 460.17 MCM સંગ્રહિત છે. આ પાણી આગામી એક વર્ષ સુધી પીવા માટે અને સિંચાઇ માટે પૂરું પડી શકે તેમ છે.