Lion Death: શિંગોડા નદીમાં સિંહણનો મૃતદેહ તરતો જોવા મળ્યો, વન વિભાગે હાથ ધરી તપાસ
Published : Sep 26, 2023, 12:08 PM IST
|Updated : Sep 26, 2023, 1:12 PM IST
ગીર સોમનાથ:જિલ્લાના કોડીનાર તાલુકાના સુગાળા ગામ પાસે આવેલ શિંગોડા નદીમાં દોઢ થી બે વર્ષની સિંહણનો મૃતદેહ મળી આવ્યો છે. સમગ્ર મામલાને લઈને જામવાળા વન વિભાગ દ્વારા મૃતદેહનો કબજો કરીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી છે. શિંગોડા નદી નજીક આવેલા ખોડીયાર મંદિરના ઘાઘડિયા ઘુનામાં સિંહણનો મૃતદેહ તરતો જોવા મળતા વન વિભાગના અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. નદી વિસ્તારમાંથી મૃતદેહને બહાર કાઢીને ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે. જામવાળા વન વિભાગના અધિકારીઓએ પ્રાથમિક દ્રષ્ટિએ સિંહણનું મોત કયા કારણોસર થયું છે. તેને લઈને કોઈ ખુલાસો કર્યો નથી. પરંતુ જામવાળા એનિમલ કેર સેન્ટર ખાતે મૃતક સિંહણનુ પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. ત્યારબાદ સિંહણના મોતને લઈને કોઈ સાચું કારણ બહાર આવે તેવી શક્યતાઓ છે. પરંતુ સિંહણ નું મોત થતાં સિંહ પ્રેમીઓમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.