Cyclone Biparjoy: વાવઝોડાનાં ખતરાને દૂર કરવા શ્રદ્ધાળુઓ પહોંચ્યા મહાદેવના શરણે - Devotees reached Mahadevs shelter
ગીરસોમનાથ:સંભવિત બિપરજોય વાવાઝોડાના ખતરાને પગલે આજે 24 કલાક માટે સોમનાથ મંદિર શિવ ભક્તોના દર્શન માટે બંધ કરવામાં આવ્યું છે. પાછલા ત્રણ દિવસથી સોમનાથ આવીને મહાદેવની સાક્ષીએ મહિલા શ્રદ્ધાળુએ આજે સોમનાથ મહાદેવ મંદિર સમક્ષ પ્રાર્થના કરી હતી અને મહાદેવ વાવાઝોડાના સ્વરૂપના ખતરાને દૂર કરશે તેવી શ્રદ્ધા સાથે પ્રાર્થના કરી હતી. તમામ મહિલાઓ મહાદેવમાં શ્રદ્ધા ધરાવે છે જેથી તેઓ આવતીકાલે વાવાઝોડાનો ખતરો સંપૂર્ણ દૂર થયા બાદ ફરી એક વખત મહાદેવના દર્શન કરીને તેમની સોમનાથ યાત્રા પૂર્ણ કરશે તેવો ભરોસો વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સંભવિત વાવાઝોડાના ખતરાને લઈને સોમનાથ ટ્રસ્ટની વિનંતી સામે આવી છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાદેવના દર્શન માટે આવતા ભાવિ ભક્તોને પત્ર લખીને વિનંતી કરી છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા શિવ ભક્તોને મંદિરે દર્શન કરવા માટે ન આવવાની વિનંતી કરવામાં આવી છે.
15 જૂનના ટકરાશે બિપરજોય વાવાઝોડુ :અરબી સમુદ્રમાં સર્જાયેલું પ્રચંડ ચક્રવાત બિપરજોય તારીખ 15 જૂનના સાંજે ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી અને કરાંચી વચ્ચે ત્રાટકશે. આ દરમિયાન 150 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. ગુજરાત અને મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોમાં બુધવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ વાવાઝોડું 15 જૂનના રોજ સાંજે 6થી 9.30ની વચ્ચે જખૌ પર ટકરાઈ શકે છે.