ગુજરાત

gujarat

ETV Bharat / sukhibhava

શું કોમોર્બિડ રોગો જાતીય જીવનને અસર કરે છે? - Microsurgical andrologist

વધતી વય અને રોજબરોજના તણાવગ્રસ્ત જીવનની મુશ્કેલીઓ ઘણી બિમારીઓને નોતરે છે, જે મુખ્યત્વે આપણા જીવન અને જીવનશૈલી પર વિપરિત અસર પહોંચાડે છે. આ તમામ સમસ્યાઓ દૂર કરવા ટીમ સુખીભવ દ્વારા હૈદરાબાદ સ્થિત કન્સલ્ટન્ટ માઇક્રોસર્જિકલ એન્ડ્રોલોજિસ્ટ ડો. રાહુલ રેડ્ડી સાથે વાતચીત કરવામાં આવી હતી.

શું કોમોર્બિડ રોગો જાતીય જીવનને અસર કરે છે?
શું કોમોર્બિડ રોગો જાતીય જીવનને અસર કરે છે?

By

Published : Sep 27, 2020, 2:07 PM IST

શું કોમોર્બિડ બિમારીઓ (સહ-રુગ્ણતા) જાતીય જીવન પર વિપરિત અસર પહોંચાડે છે?

વધતી વય અને રોજબરોજના તણાવગ્રસ્ત જીવનની મુશ્કેલીઓ ઘણી બિમારીઓને નોતરે છે, જે મુખ્યત્વે આપણા જીવન અને જીવનશૈલી પર વિપરિત અસર પહોંચાડે છે. આ તમામ સમસ્યાઓની આપણા જાતીય જીવન પર પણ સીધી અસર પડે છે. નિષ્ણાંતો અને ફિઝિશ્યન્સનું માનવું છે કે, જો વ્યક્તિના શરીરમાં એક સાથે એક કરતાં વધુ તકલીફ પ્રવર્તતી હોય, (જેને સામાન્યપણે ‘કોમોર્બિડિટી’ તરીકે ઓળખવામાં આવે છે), તો તેના કારણે સ્ત્રીઓ તથા પુરુષોમાં વિવિધ કારણોસર જાતીય જીવનમાંથી રસ ઓછો થવા માંડે છે. પરંતુ આ કોમોર્બિડ તકલીફો કઇ-કઇ છે અને તે કેવી રીતે જાતીય સબંધને પ્રભાવિત કરે છે? આ વિષય પર ટીમ સુખીભવ દ્વારા હૈદરાબાદ સ્થિત કન્સલ્ટન્ટ માઇક્રોસર્જિકલ એન્ડ્રોલોજિસ્ટ ડો. રાહુલ રેડ્ડી સાથે વાતચીત કરવામાં આવી હતી.

શું કોમોર્બિડ રોગો જાતીય જીવનને અસર કરે છે?

જ્યારે વ્યક્તિ પર એક કે તેનાથી વધુ બિમારી હુમલો કરે, ત્યારે તેની માનસિક સમસ્યા વધવાની સાથે-સાથે જાતીય સબંધ પર પણ સીધી અસર પડે છે. કેટલીક વખત બિમારી અથવા તેની સારવાર માટેની દવાઓના કારણે સ્ત્રી-પુરુષોમાં જાતીય ઇચ્છાનો અભાવ વર્તાવો, જાતીય ઉત્તેજનાનો અનુભવ ન થવો અને જાતીય સબંધ બાંધ્યા બાદ પૂર્ણ સંતોષ પ્રાપ્ત ન થવો, વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

કોમોર્બિડ સમસ્યાઓ કઇ-કઇ છે?

ડો. રેડ્ડી સમજાવે છે કે, માનવ શરીરમાં એકી સાથે એક કરતાં વધુ બિમારીનું અસ્તિત્વ હોય, તે સ્થિતિ કોમોર્બિડ સમસ્યા તરીકે ઓળખાય છે. આ બિમારીઓ શારીરિક અને માનસિક, બંને સ્વરૂપની હોઇ શકે છે. ઉદાહરણ તરીકે, વ્યક્તિના શરીરમાં એકીસાથે ડાયાબિટીસ, હાઇ બીપી અને તણાવની સમસ્યા મોજૂદ હોય છે. ડો. રેડ્ડી સમજાવે છે કે, આ બિમારીઓના કારણે અને ઘણી વખત તેની દવાઓના કારણે આપણા શરીરનું રચનાતંત્ર, તંત્રિકાઓ તથા મનમાં જન્મતી ઇચ્છાઓ પ્રભાવિત થતાં હોય છે, જેના કારણે ઘણાં લોકોની કામેચ્છા કાં તો લગભગ અદ્રશ્ય થઇ જાય છે, અથવા તો તેમને તેનાથી સંતોષ નથી મળતો.

કોમોર્બિડ સમસ્યાઓ અને જાતીય જીવન પર તેની અસર

ડાયાબિટીસ
ડાયાબિટીસ એક ગંભીર સમસ્યા છે અને આપણા આરોગ્ય પર તે ઘણો મોટો પ્રભાવ ધરાવે છે. ડાયાબિટીસના કારણે ઉદ્ભવતી શારીરિક તેમજ માનસિક સમસ્યાઓ જાતીય સબંધ પર વિપરિત અસર પહોંચાડે છે. ઉદાહરણ તરીકે, જો જાતીય સબંધ દરમિયાન, વ્યક્તિના સુગર લેવલમાં વધ-ઘટ થાય, તો પુરુષોને ઉત્થાન સંબંધિત સમસ્યા થઇ શકે છે, તો મહિલાઓને ઉત્તેજનાનો અનુભવ ન થાય, તે સંભવ છે. આટલું જ નહીં, કેટલીક વખત ડાયાબિટીસના કારણે પુરુષોમાં નપુંસકતા, જાતીય સબંધ બાંધવાનું અસામર્થ્ય અને વંધ્યત્વ જેવી સમસ્યાઓ પેદા થઇ શકે છે.

હાઇપરટેન્શન
હાઇ બ્લડ પ્રેશરના કારણે લોકોની જાતીય ઇચ્છા ઓછી થઇ શકે છે. બ્લડ પ્રેશર ઊંચું રહેવાના કારણે વ્યક્તિના શરીરનું મોટાભાગનું રચનાતંત્ર પ્રભાવિત થાય છે, જેના પરિણામસ્વરૂપે જાતીય સબંધ બાંધવા માટે શરીરમાં જે ઉત્તેજિતતા થવી જોઇએ, તેની માત્રા ઘટી જાય છે. વળી, મહિલાઓ અને પુરુષોના જનનાંગો પર પણ તેની વિપરિત અસર પડી શકે છે. પુરુષોને ઉત્થાન સંબંધિત સમસ્યાઓ થાય છે, તો મહિલાઓને જનનાંગમાં શુષ્કતાની તકલીફ સર્જાય છે. આ ઉપરાંત, જાતીય સબંધની ઇચ્છા પણ મરી પરવારે છે.

મેદસ્વીતા
મેદસ્વીપણું જાતીય ઉત્થાન પર સીધી અસર પહોંચાડે છે, જેના કારણે જાતીય પ્રવૃત્તિઓ પણ પ્રભાવિત થાય છે. મેદસ્વીતાના કારણે શરીરનું ભારેપણું પાર્ટનરને અસહજતાનો અનુભવ કરાવી શકે છે. ઉપરાંત, થાક તેમજ જોશમાં ઘટાડાની સમસ્યા પણ ઉદ્ભવી શકે છે.

ડિપ્રેશન
કહેવાય છે કે, તણાવ માટે જાતીય સબંધ દવાનું કામ કરે છે. તેનાથી મનને આનંદ મળવાની સાથે-સાથે શરીરમાં તણાવ દૂર કરનારા હોર્મોન્સ પણ ઉત્પન્ન થાય છે. પરંતુ તેની સાથે-સાથે જ, એ પણ સાચું છે કે, ડિપ્રેશન કે અન્ય કોઇ માનસિક સમસ્યા પણ જાતીય ઇચ્છાના અભાવનું કારણ બની શકે છે. આ પરિસ્થિતિમાં વ્યક્તિ જાતીય સબંધોના મામલે નિરાશા નુભવે છે અને તેમને ઇચ્છા થાય, તો પણ ઉત્થાન અને જાતીય ઉત્તેજનાની સમસ્યાઓ ઉદ્ભવી શકે છે.

રક્તવાહિની સંબંધિત બિમારી

રક્તવાહિનીઓની અથવા તંત્રિકાની સમસ્યા, અર્થાત્ વસ્ક્યુલર બિમારીની સમસ્યા વ્યક્તિના જાતીય સબંધોને પ્રભાવિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેમાં, જનનાંગોમાં બ્લડ સરક્યુલેશન અયોગ્ય હોય છે અને જાતીય સબંધ બાંધવા માટેનો રોમાંચ અનુભવી શકાતો નથી. ઉપરાંત, આવી સ્થિતિમાં બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ પણ જન્મી શકે છે.

મેનોપોઝ
સ્ત્રીના શરીરમાં મેનોપોઝ દરમિયાન સેંકડો હોર્મોનલ ફેરફારો થાય છે, જેના કારણે ઘણી વખત તેમનામાં જાતીય સબંધ બાંધવાની ઇચ્છા ઘટી જાય, તે શક્ય છે.

આમ, ડો. રેડ્ડી સમજાવે છે કે, જો વ્યક્તિ ઉપરોક્ત બિમારીઓથી પીડાતી હોય, તો તેણે ડોક્ટરે આપેલી સૂચનાઓનું પાલન કરવું અત્યંત જરૂરી છે. સાથે જ યોગ્ય જીવનશૈલી અપનાવવી, નિયમિતપણે અને સમયસર દવા લેવી, યોગ્ય આહાર લેવો, વગેરે બાબતોનું પૂરતું ધ્યાન રાખવું જરૂરી છે. તેના પરિણામ સ્વરૂપે, જાતીય જીવનમાં પણ સુધારો આવી શકે છે.

ABOUT THE AUTHOR

...view details