ગુજરાત

gujarat

કોવિડ-19 રસીકરણ: તમારી તમામ મૂંઝવણો, પ્રશ્નો માટેની ઉપયોગી, જ્ઞાનવર્ધક માહિતી

By

Published : Mar 18, 2021, 7:55 PM IST

આપણે વિશ્વના સૌથી વિશાળ રસીકરણ કાર્યક્રમના બીજા તબક્કામાં પ્રવેશ કરી ચૂક્યા છીએ. તેમ છતાં આપણી ઉપર ઝળૂંબી રહેલા ઘણા પ્રશ્નો આ કાર્યક્રમની સફળતા આડે અવરોધ ઊભો કરી શકે છે અને કોરોના સામેની લડતને હંફાવી શકે છે.

covid vaccine
covid vaccine

હા, રસીકરણ કોરોના મહામારી સામે લડવા માટેનું સૌથી અસરકારક સાધન છે અને તે પૂર્વવત્ જીવન શરૂ કરવા માટેના મિશનમાં સફળ થવા માટે આપણને મદદ કરે છે! એક રીતે, ભારતમાં કોરોના રસીકરણ અભિયાને પ્રથમ દિવસથી જ વેગ પકડ્યો છે. સ્થાનિક સ્વરાજ્યનાં એકમો દ્વારા તેને પ્રોત્સાહક પ્રતિસાદ સાંપડ્યો, ત્યાર બાદ અત્યારે આપણે ધીમી પણ સ્થિર ગતિએ આપણાં લક્ષ્ય તરફ આગળ ધપી રહ્યાં છીએ. હેલ્થકેર પ્રોવાઇડર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ માટે રસીકરણના સફળ રાઉન્ડ બાદ હવે આપણે 60 વર્ષ કરતાં વધુ વયના સિનિયર સિટિઝન્સ અને 45 વર્ષ કરતાં વધુ વયના અને કોમોર્બિડિટી ધરાવનારા લોકોને રસી મૂકાવીને તેમનું રક્ષણ કરવા તરફ આગળ વધ્યા છીએ.

અહીં તમે સ્વયં તથા તમારા પ્રિયજનોના રક્ષણ માટે રસી મૂકાવો, તેમાં મદદરૂપ થાય, તેવી કેટલીક માહિતી રજૂ કરવામાં આવી છેઃ

તમામ પુખ્ત વયની વ્યક્તિઓએ કોરોનાની રસી લેવી જોઇએ તથા અન્ય લોકોને પણ તે લેવા માટે પ્રોત્સાહન પૂરું પાડવું જોઇએ.

તમારે તમારૂં ભોજન લેવું જોઇએ અને રસીકરણ માટે શરીરમાં પાણીનું પૂરતું પ્રમાણ જાળવવું જોઇએ.

રસીના કોઇપણ પ્રકારના કન્ટેન્ટનું એનેલેક્સિઝ (એલર્જિક રિએક્શન) ધરાવતા હોય, માત્ર તેવા લોકોએ જ રસી ન લેવી જોઇએ.

કોવિશિલ્ડ અને કોવેક્સિન સહિતની તમામ મંજૂરીપ્રાપ્ત રસીઓ નીચે પ્રમાણેની સક્ષમતા ધરાવે છેઃ

1. કોરોનાને કારણે થતા મોતને અટકાવવા માટે 100 ટકા અસરકારકતા

2. ગંભીર પ્રકારના કોરોના સામે અત્યંત ઊંચી અસરકારકતા

3. લક્ષણો સાથેના (સિમ્પ્ટોમેટિક) કોરોના સામે ઊંચીથી સાધારણ સ્તરની (60 ટકાથી 95 ટકા) અસરકારકતા.

4. એસિમ્પ્ટોમેટિક (લક્ષણો ન દેખાતા હોય, તેવા) કોરોના સામે નબળી અસરકારકતા.

5.સંક્રમણનું ઊંચું જોખમ ધરાવતા લોકોને રસી મૂકાવવી – 60 વર્ષ કરતાં વધુ વયની તથા કો-મોર્બિડિટીઝ ધરાવતી 45 વર્ષ કરતાં વધુ વયની વ્યક્તિઓને રસી મૂકાવવાથી મૃત્યુ દર ઘટીને ઘણો નીચો આવી જશે. કારણ કે, વર્તમાન સમયમાં કોરોનાના કારણે મૃત્યુ પામતા દર્દીઓમાં આ વય જૂથનાં દર્દીઓની ટકાવારી લગભગ 90 ટકા જેટલી છે. આથી, આપણે આ વય જૂથનાં લોકોને રસી મૂકાવવા માટે ઉત્તેજન આપવું જોઇએ.

6. અગાઉ કોરોનાના સંક્રમણનો ભોગ બની ચૂક્યા હોય, તેવા લોકોએ કોરોનામાંથી સાજા થઇ ગયાના 8થી 12 સપ્તાહ બાદ જ રસી લેવી જોઇએ.

7. અગાઉ કોરોનાના સંક્રમણની સારવાર માટે પ્લાઝમા થેરેપી મેળવી હોય, તેવી વ્યક્તિએ રસી મૂકાવતાં પહેલાં 8થી 12 સપ્તાહ સુધી રાહ જોવી જોઇએ.

8. હાઇપરટેન્શન, ડાયાબિટીસ, રેનલ ફેઇલ્યોર અને હૃદયને લગતી બિમારી ધરાવનારા દર્દીઓ, બાયપાસ કરાવી ચૂકેલા દર્દીઓ, એન્જિયોગ્રાફી કરાવનારા તથા ડાયાલિસીસ પર હોય, તેવા લોકો માટે કોરોનાની રસી સલામત છે.

9. ગર્ભવતી મહિલાઓમાં, જો રસીના જોખમ કરતાં રસીના ફાયદા વધુ ચઢિયાતા સાબિત થાય, તો તેવા સંજોગોમાં મહિલા રસી મૂકાવી શકે છે. ઉદાહરણ તરીકે, મહિલા ફ્રન્ટલાઇન વર્કર ગર્ભવતી હોય, તો તેણે રસી મૂકાવવી જોઇએ.

10. રસી લીધા બાદ કેટલા સમય સુધી ગર્ભાવસ્થા ટાળવી જોઇએ, તે અંગેની કોઇ આંકડાકીય વિગતો મોજૂદ નથી. તેમ છતાં, રસી વાટે શરીરમાં દાખલ કરાયેલો વાઇરસ નિષ્ક્રિય અથવા તો મૃત અવસ્થામાં હોય છે. રસી મૂકાવ્યાના છથી આઠ સપ્તાહ બાદ ગર્ભાધાન રહે, તે સલામત છે.

11. ખાદ્ય પદાર્થની એલર્જી, (રસીની બનાવટમાં વપરાયેલા ઘટકો સિવાયની સામગ્રી ધરાવતી) દવાની એલર્જી તથા અસ્થમા, એલર્જિક રાઇનાઇટસ, એલર્જિક ડર્મેટાઇટસ વગેરે જેવી સામાન્ય એલર્જિક સ્થિતિમાં રસી લેવી સલામત છે. પરંતુ રસી મૂકાવતાં પહેલાં તમારે તમારા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઇએ.

12. એસ્પિરિન અને ક્લોપાઇડોગ્રેલ જેવાં એન્ટિ-પ્લેટલેટ એજન્ટ્સ પર હોય, તેવા દર્દીઓએ તેમની દવા બંધ કર્યા વિના કોરોનાની રસી લેવી જોઇએ.

13. વોરફેરિન અને નવાં એન્ટિ-કોએગ્યુલેશન એજન્ટ્સ પર હોય, તેવા દર્દીઓ રસીનું ઇન્જેક્શન અપાયું હોય, તે જગ્યાએ સોજો આવવાનું થોડું જોખમ ધરાવતા હોય છે. આ નવા એજન્ટ્સ લઇ રહ્યા હોય, તેવા દર્દીઓ તેમની દવાનો સવારનો ડોઝ ટાળીને રસી લઇ શકે છે અને ત્યાર બાદ બીજો નિયમિત ડોઝ ફરી શરૂ કરી શકે છે.

14. સ્ટ્રોક, પાર્કિન્સન્સ, ડિમેન્શિયા વગેરે જેવી ન્યૂરોલોજિકલ જટિલ બિમારીનો ભોગ બનેલા દર્દીઓ પણ કોરોનાની રસી લઇ શકે છે, કારણ કે આ રસી તેમના માટે સુરક્ષિત છે.

15. કોઇપણ પ્રકારના ઇમ્યુનોસપ્રેસન્ટ્સ (અર્થાત્ શરીરના કોઇ અંગનું ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય) પર હોય, તેવા દર્દીઓ સલામત રીતે રસી લઇ શકે છે. તેમ છતાં, રોગ પ્રતિકારક પ્રતિસાદ પૂરો ન હોય, તેવું બની શકે. આથી, રસી માટે નોંધણી કરાવતાં પહેલાં તમારા ડોક્ટર પાસેથી સલાહ લેવી હિતાવહ છે.

16. રસી લીધા બાદ આલ્કોહોલ લેવાની છૂટ આપવામાં આવતી નથી અથવા તો રસી લેવાથી નપુંસકતા આવે છે અથવા રસી વ્યક્તિના શરીરના DNA બદલી નાંખે છે – આ તમામ માન્યતા ખોટી અને ગેરસમજથી ભરેલી છે.

17. વર્તમાન સમયમાં બાળકો પર રસીનાં પરીક્ષણો થયાં નથી. આથી અઢાર વર્ષ કરતાં નીચેની વયનાં કિશોરો તથા બાળકોને રસી મૂકાવવાનું હમણાં ટાળવું જોઇએ.

18. કેન્સરની સારવાર ચાલી રહી હોય અને કેમોથેરેપી લઇ રહ્યા હોય, તેવા દર્દીઓએ તેમના ડોક્ટરની સલાહ લેવી જોઇએ અને કેમોથેરેપીની સાઇકલ વચ્ચે રસીકરણ માટેના યોગ્ય અવકાશ અંગે જાણકારી મેળવવી જોઇએ. સામાન્ય રીતે, દર્દીએ રસી મૂકાવતાં પહેલાં કેમોથેરેપી બાદ ઓછામાં ઓછા ચાર અઠવાડિયા સુધી રાહ જોવી જોઇએ.

19. તાવ આવવો, શરીર દુખવું, ચક્કર આવવા, માથામાં દુખાવો થવો – રસી મૂકાવ્યા બાદનાં આ સામાન્ય લક્ષણો છે.

20. વ્યક્તિ રસી મૂકાવ્યા બાદ જરૂર પડ્યે સાદી પેરાસિટામોલ લઇ શકે છે. આમ કરવાથી મોટાભાગનાં લક્ષણોમાંથી છૂટકારો મળી જશે.

રસી અંગે ફેલાઇ રહેલી અફવાઓ પર વિશ્વાસ ન કરશો. સાચી અને યોગ્ય માહિતી મેળવવા માટે કોરોનાની રસી જ્યાં મૂકવામાં આવતી હોય, તેવાં મેડિકલ સેન્ટર્સ ખાતે હાજર ડોક્ટરો સાથે વાતચીત કરવી એ શ્રેષ્ઠ ઉપાય છે. યાદ રાખો, રસી દ્વારા ઉત્પન્ન થયેલી રોગપ્રતિકારક શક્તિ હર્ડ ઇમ્યૂનિટી જેટલી જ મહત્વપૂર્ણ છે. વાઇરસના વધતા વ્યાપને રોકવા માટેનો આ વર્તમાન સમયનો એકમાત્ર ઉપાય છે. તો ચાલો, સૌ સાથે મળીને કોરોના સામે લડત આપીએ અને આ મહામારીનો કાયમ માટે અંત આણીએ.

(ડો. રાહુલ પંડિત મુંબઇ સ્થિત ફોર્ટિસ હોસ્પિટલના ક્રિટિકલ કેર વિભાગના ડિરેક્ટર છે તથા મહારાષ્ટ્રની કોવિડ ટાસ્કફોર્સના સભ્ય છે.)

ABOUT THE AUTHOR

...view details