ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના સંક્રમણને ધ્‍યાને રાખી વલસાડમાં જિલ્લા અધિકારીઓની તાકીદની બેઠક

કોરોના વાઇરસના વધતા જતા સંક્રમણને ધ્‍યાને રાખી વલસાડ કલેક્‍ટર આર.આર. રાવલે જિલ્લાના અધિકારીઓની તાકીદની બેઠક યોજી હતી. કોરોનાને ધ્‍યાનમાં લઇને દરેક પાસાઓની છણાવટ કરી ભવિષ્‍યમાં પડનારી જરૂરિયાતોને ધ્‍યાને રાખી કોવિડ-19 હોસ્‍પિટલમાં બેડની સંખ્‍યા વધારવા તેમજ ખાનગી હોસ્‍પિટલોને કોવિડ હોસ્‍પિટલ તરીકે ઉપયોગમાં લેવા, આયુર્વેદિક ઉકાળા અને હોમિયોપેથિક દવાઓનું વિતરણ તેમજ કોવિડ હોસ્‍પિટલોમાં જરૂરિયાત મુજબ ખાનગી ફીઝીશીયન ડૉક્‍ટર્સને ફરજ સોંપણી કરવા સહિતની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

By

Published : Jul 1, 2020, 11:20 AM IST

Corona virus
કોરોના વાઇરસ

  • કોરોના વધતા કેસને લઇને કલેક્‍ટર આર.આર. રાવલે બેઠક યોજી
  • બેઠકમાં જિલ્લાના અધિકારીઓ હાજર રહ્યાં
  • કોવિડ-19ના નિયમોનું પાલન નહીં કરનાર સામે કાર્યવાહી
  • RTO અને પોલીસ વિભાગ દ્વારા કડક કાર્યવાહી

વલસાડ: જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં લઇ ઔદ્યોગિક વિસ્‍તારોમાં તમામ ઔદ્યોગિક એકમોને જિલ્લા કલેક્‍ટર આર.આર. રાવલે તાકીદ કરતા જણાવ્‍યું છે કે, દરેક એકમો પોતાના દરેક કર્મચારીઓને ડિસ્‍પોઝલ માસ્‍ક પુરા પાડે, ઇન્‍ફેકશન કંટ્રોલ સિસ્‍ટમની અમલવારી કરે તે જરૂરી છે. આ ઉપરાંત દરેક કર્મચારીઓ પાસે આરોગ્‍ય સેતુ એપ ડાઉનલોડ કરાવવા, તમામ કામદારોને આયુર્વેદિક ઉકાળા પીવડાવવા શંમશમનીવટી, આર્સેનિક આલ્‍બમનું વિતરણ કરવા, આવતા-જતાં તમામનું હેલ્‍થ સ્‍કિનિંગ કરવાની સાથે સેનીટાઇઝરની વ્‍યવસ્‍થા પણ કરવાની રહેશે.

આ ઉપરાંત સોશિયલ ડિસ્‍ટન્‍સનું ચુસ્‍ત પાલન કરવા, ઔદ્યોગિક એકમોમાં વેન્‍ટીલેશનની વ્‍યવસ્‍થા કરવાની સાથે જરૂરિયાત મુજબના જ કામદારો કામ કરે છે કે કેમ? તે માટે જી.આઇ.ડી.સી. મેનેજર, ફેક્‍ટરી ઇન્‍સ્‍પેકટર, ઇન્‍સ્‍પેકશન ઓફિસર સહિતની ટીમ ઔદ્યોગિક એકમોનું આકસ્‍મિક ચેકિંગ હાથ ધરશે. જેમાં ફેક્‍ટરી કે ઔદ્યોગિક એકમ કસૂરવાર ઠરશે, તો કારખાના સીલ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ ઉપરાંત જિલ્લામાં કે ઔદ્યોગિક વિસ્‍તારોમાં આવન-જાવન કરતા ટુ, થ્રી, ફોર વ્‍હીલર વાહનો કે, પેસેન્‍જર બસમાં કોવિડ-19ની ગાઇડલાઇન કરતા વધુ પેસેન્‍જર્સ બેસાડવામાં આવશે, તો RTO અને પોલીસ વિભાગ દ્વારા કડક ચેકિંગ હાથ ધરી પરમીટ રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ માસ્‍ક વિના ફરતા તેમજ બિનજરૂરી લોકો ટોળે વળશે તો પણ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.

જિલ્લા કલેક્‍ટર રાવલે જિલ્લાની જનતાને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા, સીનિયર સિટીઝનો, સગર્ભા મહિલાઓ, ડાયાબીટીસ, ટીબી, હાઇપરટેન્‍શનના દર્દીઓ, 10 વર્ષ સુધીના બાળકોને જરૂરી કારણો સિવાય ઘરની બહાર ન નિકળવા અનુરોધ કર્યો છે. આ તમામ કામગીરીઓનું જિલ્લા કક્ષાના કંટ્રોલરુમમાંથી સતત મોનિટરિંગ કરવામાં આવશે. આ તમામ કામગીરી પ્રાંત અધિકારી/ લાયઝન અધિકારીની નિગરાની હેઠળ દ્વારા કડક અમલવારી કરાવાશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, નિવાસી અધિક કલેક્‍ટર એન.એ.રાજપૂત, મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડૉ.અનિલ પટેલ સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહયા હતા.

ABOUT THE AUTHOR

...view details