વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કપરાડા મુખ્યમથક ઉપર ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા બનાવવામાં આવેલા એસ.ટી. બસ મથકમાં છેલ્લા એક મહિનાથી પીવાના પાણીની તંગી સર્જાઇ છે. અહીં બનાવાયેલા પીવાના પાણીની પરબ પાસે ચાર નળો મૂકવામાં આવ્યા છે, પરંતુ એક પણ નળમાં પીવાનું પાણી આવતું નથી. કપરાડા એસટીબસમથકનો ઉપયોગ અહીં આસપાસના ૭૦ ગામોના લોકો વલસાડ-વાપી-નાસિક-ધરમપુર આવવા જવા માટે કરે છે.
કપરાડા મુખ્ય હોવાને કારણે આસપાસના તાલુકા અને ગામડાઓના આદિવાસી વિસ્તારના રહીશો તેમના બાળકોને અભ્યાસ કરવા માટે કપરાડાની કોલેજ અને સ્કૂલોમાં મોકલતા હોય છે. પરંતુ જાહેર જગ્યા જ્યાં પ્રાથમિક સુવિધાઓ જરૂરી છે એ જ સ્થળ ઉપર પીવાનું પાણી જ ઉપલ્બ્ધ નથી. વળી, અત્રે શૌચાલયમાં પણ પાણીનો અભાવ છે, જેના કારણે મુસાફરી કરનારા અનેક મુસાફરો એમાં પણ ખાસ કરીને મહિલા મુસાફરોની સ્થિતિ દયનીય બની રહી છે.