- ST બસના માધ્યમથી કેરીના બોક્સ પોતાના સ્વજનોને મોકલવામાં આવી રહ્યા છે
- સામાન્ય રીતે ST બસમાં અનેક પ્રકારના પાર્સલો જતા હોય છે પરંતુ કેરીની સિઝનમાં કેરીના બોક્સનું પણ પાર્સલ થાય છે
- જિલ્લામાંથી અનેક જિલ્લાઓમાં ST બસના માધ્યમથી કેરી પહોંચાડવામાં આવી રહી છે
- જિલ્લાના ધરમપુર ડેપોથી રોજિંદા 50થી વધુ કેરીના બોક્સને પાર્સલ દ્વારા મોકલવામાં આવે છે
વલસાડઃજિલ્લાના ધરમપુર ST ડેપોના પાર્સલ વિભાગના જણાવ્યા અનુસાર કેરીની સિઝનમાં દર વર્ષે એસટી વિભાગ દ્વારા કેરીના પાર્સલો જે તે સ્થળે મોકલવામાં આવે છે અને આ સેવા શરૂ કરાઈ છે. આ વખતે વાવાઝોડાની અસરને પગલે છેલ્લા કેટલાક સમયથી લોકો કેરીના પાર્સલ મોકલવાનું ટાળી રહ્યા હતા પરંતુ હવે જ્યારે કેરીની સીઝન જોર ઉપર છે ત્યારે અનેક લોકો પોતાના સ્વજનોને ત્યાં કેરીના 10, 15 અને 20 કિલોના બોક્સના પાર્સલો પોતાના સ્વજનો સુધી અને તેમના ગામ સુધી પહોંચતા કરવા માટે ST બસના પાર્સલ સુવિધાનો ઉપયોગ કરી રહ્યા છે. જોકે ST બસમાં પાર્સલ મોકલવા માટે કિલોમીટર દીઠ અને 20 કિલો મુજબ પૈસા ચૂકવવા પડે છે.
આ પણ વાંચોઃ ભાવનગરમાં સોસિયાની કેરીનું આગમન: કાચી કેરી 100ની આસપાસ રહેતા લોકોને સ્વાદ ફિક્કો પડશે
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સુધી ST ડેપોના માધ્યમથી કેરીના બોક્સ લઈ જવાય છે
ધરમપુર ST ડેપોના પાર્સલ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા એક અઠવાડિયાથી લગાતાર કેરીના બોક્સ ઉત્તર ગુજરાત એટલે કે અમદાવાદ, વડોદરા, મહેસાણા, કડી, કલોલ અને ગોધરા જેવા અનેક વિસ્તારોમાં મોકલવા માટે લોકો પાર્સલ સર્વિસ બુકિંગ કરાવી રહ્યા છે, રોજિંદા 50થી વધુ કેરીના બોક્સ ભરાઈને પાર્સલ ઓફિસ સુધી આવી રહ્યા છે. આ તમામ બાબતોને જે તે વિસ્તારની ST બસોમાં જે તે વિસ્તાર સુધી મોકલવા માટેની કામગીરી કરાઈ રહી છે.
અલગ અલગ જગ્યાએ કેરીના બોક્સ મોકલવા અલગ અલગ પ્રકારની કિંમત પાર્સલ સુવિધા માટે નક્કી કરવામાં આવી છે