વલસાડઃ કેન્દ્ર સરકાર દ્વારા પોસ્ટ ઓફિસમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક સહિત નવી નવી યોજનાઓ શરૂ કરવામાં આવી રહી છે. આ પૈકી ગત વર્ષોમાં ગંગોત્રી પ્રોજેક્ટ અંતર્ગત લોકોને દરેક પોસ્ટ ઓફિસમાંથી ગંગાજળ મળી રહે તે માટે એક વિશેષ વ્યવસ્થાનુ આયોજન કરાયું હતું. આ વર્ષે પણ શ્રાવણ માસમાં પોસ્ટ ઓફિસમાં ગંગાજળની બોટલનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. વલસાડ જિલ્લામાં શ્રાવણ માસમાં કોરોનાના કાળ દરમિયાન પણ ૧૪૭ જેટલી બોટલોનું વેચાણ થયું છે.
શું તમે જાણો છો ? વલસાડ પોસ્ટ ઓફિસમાં પણ મળે છે ગંગાજળ - Valsad post office News
સમગ્ર ભારતમાં ગંગા નદીને ખૂબ પવિત્ર માનવામાં આવે છે અને ગંગાજળ દરેક પાપનો નાશ કરતું હોવાનું વૈદિક કથન અનુસાર માનવામાં આવે છે. આ કારણે ગંગાજળનું મહત્વ ખૂબ જ રહેલું છે. ત્યારે ઋષિકેશ અને ગંગોત્રી આ બંને પવિત્ર જગ્યાઓનું જળ લોકોને ઘર બેઠા અને આસાનીથી મળી રહે એવા હેતુથી ગુજરાત સરકાર દ્વારા એક મહત્વનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. દરેક શહેરની પોસ્ટ ઓફિસમાંથી હવે ગંગાજળ નજીવી કિંમતે ઉપલબ્ધ બનશે પરંતુ આ વર્ષે શ્રાવણ માસ શરૂ થવા છતાં ગંગાજળ લેવા માટે આવનારાઓની સંખ્યામાં ઘટાડો થયો છે. છેલ્લા બે વર્ષથી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા આ પ્રોજેક્ટને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો હતો પરંતુ કોરોનાનું ગ્રહણ તેને પણ નડયું છે.

જોકે હાલમાં પોસ્ટ ઓફિસમાં 355 જેટલી બોટલ સ્ટોકમાં પડી છે. 200 mlની બોટલની કિંમત 30 રૂપિયા છે. હાલમાં વલસાડ હેડ પોસ્ટ ઓફિસમાં ગંગાજળની બોટલો આસાનીથી મળી રહે છે. વલસાડ શહેરના સિનિયર પોસ્ટમાસ્ટર એમ.એમ રાઠોડે જણાવ્યું કે, કોરોનાની મહામારી દરમિયાન પણ જેવો જાણીતા છે તેઓ શ્રાવણ માસમાં ગંગાજળ મહાદેવ ઉપર અભિષેક કરવા માટે લઈ જતા હોય છે અને જેથી કરીને જ આ વર્ષે પણ લોકોએ ખરીદી કરી છે પરંતુ ગત વર્ષ કરતા આ વર્ષે લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે, પોસ્ટ ઓફિસમાં વેચાણ અર્થે ઋષિકેશ અને ગંગોત્રી એમ બે જગ્યા ઉપરથી ગંગાજળની બોટલો વેચાણ અર્થે આવે છે. આ વર્ષે ગંગોત્રી પાસેથી ગંગાજળની બોટલો વલસાડ પોસ્ટ ઓફિસમાં પહોંચી છે અને તેનું વેચાણ હાલમાં પણ કાર્યરત છે. લોકોને જાણકારી મળે તે માટે પોસ્ટ ઓફિસની બહાર વિવિધ સાઇનબોર્ડ મારવામાં આવ્યા છે.
મહત્વનું છે કે, શ્રાવણ માસમાં દેવાલયોમાં શિવજી ઉપર જળાભિષેકનું ખૂબ મહત્વ છે અને એમાં પણ ગંગા જળ ચડાવવું એ શ્રાવણ માસમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. જેથી લોકો અહીં પોસ્ટ ઓફિસમાંથી પણ ગંગાજળની ખરીદી કરી રહ્યા છે.