ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના ઇફેક્ટઃ વાપીની એક ઇન્ડસ્ટ્રીઝમાં મેડિકલ-પેરામેડિકલ સ્ટાફ તૈનાત કરાયો - કોરોના વાયરસ

સમગ્ર દુનિયા સાથે ભારતમાં પણ હાહાકાર મચાવેલા કોરોના વાયરસ સામે સરકારની સાથે કોર્પોરેટ કંપનીઓ પણ સજાગ બની છે. વાપીમાં 3 હજાર કર્મચારીઓને રોજગારી આપતી આરતી ઇન્ડસ્ટ્રીઝમાં હાલ ખાસ મેડિકલ પેરામેડિકલ ટીમ તૈનાત કરવામાં આવી છે. જેઓ કંપનીમાં આવતા તમામ કર્મચારીઓ, મુલાકાતીઓનું સ્ક્રીનીંગ કરી જરૂરી માર્ગદર્શન આપીને ત્યાર બાદ જ કંપનીમાં એન્ટ્રી આપી રહ્યા છે.

coronavirus  news
coronavirus news

By

Published : Mar 18, 2020, 1:44 AM IST

Updated : Mar 18, 2020, 2:07 AM IST

વલસાડઃ કોરોનાના ભય વચ્ચે પણ વાપીની આરતી ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા 3000 કર્મચારીઓ કંપનીને આર્થિક સદ્ધર બનાવવા દિવસરાત મહેનત કરી રહ્યાં છે. આ કર્મચારીઓ માટે કંપનીએ ખાસ મેડિકલ ટીમ તૈયાર કરી છે. કોઈ પણ કર્મચારી કે મુલાકાતીને કોરોના વાયરસની અસર થઈ હોય અને તેને કારણે અન્ય કર્મચારીઓ તેની ઝપેટમાં સપડાય તે પહેલાં કંપનીએ આ તકેદારી દાખવી છે.

જે અંગે કંપનીમાં ફેક્ટરી મેડિકલ ઓફિસર તરીકે કામ કરતા ડૉ. સુરેશ રોહિતે જણાવ્યું હતું કે, કંપનીમાં આમ તો 365 દિવસ માટે 4 ફેક્ટરી મેડિકલ ઓફિસર અને 14 મેલ સ્ટાફ નર્સ કામ કરે છે. હાલમાં કોરોના વાયરસના ભયને કારણે અમે તમામ સજાગ બની કંપનીના દરેક કર્મચારી મુલાકાતીને કોરોના વાયરસનો ચેપ છે કે કેમ તેની તપાસ કરી એન્ટ્રી આપીએ છીએ. આ માટે દરેક કર્મચારી મુલાકાતીને હેન્ડ સેનીટાઇઝરથી હાથ ધોવડાવીએ છીએ, માસ્ક આપીએ છીએ અને ઇન્ફ્રારેડ હેન્ડ ગનથી તેના શરીરનું તાપમાન ચેક કરી જરૂરી માર્ગદર્શન આપીએ છીએ.

વાપીની આરતી ઇન્ડસ્ટ્રીઝમાં મેડિકલ-પેરામેડિકલ સ્ટાફ તૈનાત કરાયો
કોરોના વાયરસના ભય સામે તકેદારીના પગલાં રૂપે મેડિકલ ટીમ તૈનાત કરનાર કંપનીના ડેપ્યુટી જનરલ મેનેજર હેમાંગ નાયકે જણાવ્યું હતું કે, સમગ્ર દુનિયા કોરોના વાયરસથી પ્રભાવિત થઈ છે. એટલે અમારી કંપનીમાં અમે ઇકોનોમિકલી સદ્ધર રહી શકીએ. કર્મચારીઓ ચેપરહિત રહી ઉત્સાહથી કામ કરી શકે તે માટે આ મેડિકલ ટીમ તૈયાર કરી છે.દેશમાં હાલ કોરોના વાયરસને કારણે લોકોમાં ભય છે. ત્યારે આ ભયની સામે કર્મચારીઓ અને ઉદ્યોગકારો જાગૃતિ લાવી તકેદારી રાખશે તો તેનાથી લોકોમાં ભય દૂર થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સજાગ બની જરૂરી પગલાં લીધા છે. ત્યારે સરકારની સાથે કોર્પોરેટ જગત પણ બનતી મદદ કરતું રહશે તો લોકોમાંથી કોરોનાનો ડર દૂર થશે.

એક તરફ દેશમાં અને દુનિયામાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. લોકો પોતાના ઘરબહાર નીકળતા પણ ડરી રહ્યાં છે. ત્યારે વાપીની કંપનીએ કરેલી આ પહેલ અન્ય ઉદ્યોગકારો, વેપારીઓ પણ કરે તો કોરોનાના કહેર સામે દેશનું અર્થતંત્ર ફરતું રહેશે અને મજબૂત અર્થતંત્ર થકી કોરનાનો સામનો પણ કરી શકીશું.

Last Updated : Mar 18, 2020, 2:07 AM IST

ABOUT THE AUTHOR

...view details