કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા સાવચેતીના પગલાં સાથે લોક સહયોગ જરૂરી છે. વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૧ દેશોમાંથી ૭૬ વિદેશી વ્યકિતઓ આવ્યા છે. તેમની સંપૂર્ણ મેડીકલ તપાસ કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી. જિલ્લામાં જુદી જુદી જગ્યાએ ૧૦૦ જેટલા આઇસોલેટેડ બેડ તૈયાર કરવામાં આવ્યા છે. જયારે ખાનગી હોસ્પિટલોમાં પણ ૩૬ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.
વલસાડમાં કોરોના અંગેની લોક જાગૃતિ માટે કલેક્ટરે યોજી પત્રકાર પરિષદ - કોરોના વાયરસની સારવાર
વિશ્વ આરોગ્ય સંસ્થાએ નોવેલ કોરોના વાયરસને મહામારી તરીકે જાહેર કર્યો છે. ત્યારે રાજય સરકારે પણ આગમચેતીના ભાગરૂપે સાવચેતીના પગલાં લીધા છે. વલસાડ જિલ્લાના લોકોને નોવેલ કોરોના વાયરસ રોગ સામે રક્ષણ મેળવવા અને તેની જાણકારી મળી રહે તે માટે જિલ્લા કલેક્ટર સી.આર. ખરસાણે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
![વલસાડમાં કોરોના અંગેની લોક જાગૃતિ માટે કલેક્ટરે યોજી પત્રકાર પરિષદ કોરોના](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6447301-thumbnail-3x2-co.jpg)
રાજય સરકારની સૂચના મુજબ શાળા- કૉલેજો, સિનેમા ઘરો બંધ રાખવામાં આવ્યા છે. જ્યાં ભીડ વધુ થતી હોય તેવી સંસ્થાઓ, ઇન્ડસ્ટ્રીઓ, મોલ વગેરેને સ્વૈચ્છિક રીતે બંધ રાખવા અપીલ કરવામાં આવી છે. નોવેલ કોરોના વાયરસ સમગ્ર દુનિયામાં પ્રસરી રહ્યો છે. ત્યારે આપણે પણ સતર્ક રહેવાની ખૂબ જ જરૂર છે. આ એક સંક્રમિત રોગ છે, નોવેલ કોરોના વાયરસથી બચવા બિન જરૂરી ઘરથી બહાર ન નીકળવા, હાથ મિલાવવાનું ટાળી નમસ્તે કરવા, સાબુથી કે સેનીટાઇઝેશનથી હાથ ધોવા, ભીડભાડ વાળી જગ્યાએ જવાનું ટાળવા, ગમે ત્યાં ન થૂંકવા, ખાંસી કે છીંક આવે તો રૂમાલ રાખવા જણાવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગરે રોગપ્રતિકારક શકિત ઓછી હોય તેવા વ્યકિતઓને ખાસ કાળજી રાખવા જણાવ્યું હતું. નોવેલ કોરોના વાયરસ અંગે લોકો જાગૃત બને તે માટે આંગણવાડીની બહેનો દ્વારા પ્રચાર કરીને જાગૃતિ કેળવવામાં આવી રહી છે. જાહેરમાં થૂકવા ઉપર દંડની કાર્યવાહી શહેરમાં નગરપાલિકા તેમજ ગ્રામ્યકક્ષાએ તલાટી દ્વારા કરાશે, તેમ જણાવ્યું હતું. ડૉ.મનોજ પટેલે નોવેલ કોરોના વાયરસ અંગેની વિસ્તૃત માહિતી પ્રેઝેન્ટેશન દ્વારા આપી હતી. આ કોન્ફોરન્સમાં ડો. અનિલ પટેલ, તજજ્ઞ ડોકટર્સ અને મીડિયા કર્મીઓ હાજર રહ્યા હતા.