NSUIના કાર્યકરોને ઈશ્વર સદબુદ્ધિ આપે એવા હેતુથી વલસાડ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એક શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ મુખ્ય બજારમાં આવેલી ગાંધી લાઈબ્રેરી પાસે ગાંધીજીના પુતળા નજીક અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો દ્વારા શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.
NSUIના કાર્યકરોને સદબુદ્ધિ આવે માટે વલસાડ ABVPએ શાંતિ હવન કર્યું - ABVP news
વલસાડ: અમદાવાદ ABVPની કચેરી ઉપર NSUIના કાર્યકરો દ્વારા તાળાબંધીનો કાર્યક્રમ યોજાયો હતો. જેની અંદર ABVP અને NSUIના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ સમગ્ર ઘટનામાં ABVPના કેટલાક કાર્યકરો ઘવાયા હતા. તો આ ઘટના માત્ર તાળાબંધી નહીં. પરંતુ, એક ચોક્કસ પ્રકારે કરેલો હુમલો હોવાનું ABVPના કાર્યકરોએ જણાવ્યું હતું.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્યોએ જણાવ્યું કે, અમદાવાદમાં બનેલી ઘટનામાં એક સમજી-વિચારીને કરેલો કારસો છે અને આ ઘટનામાં અનેક લોકો ઘવાયા છે. NSUIના કાર્યકરોને ઈશ્વર સદબુદ્ધિ આપે તેવા હેતુસર વલસાડ ખાતે આજે શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે હવનમાં આહુતિ આપવામાં આવી હતી અને NSUIના કાર્યકરોને સદબુદ્ધિ આપે એ માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વલસાડના કાર્યકરોએ પ્રાર્થના પણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, JNU અને ત્યારબાદ અમદાવાદમાં NSUI અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વચ્ચે વાતાવરણ તંગ બન્યું હતું. જેને પગલે બંને પક્ષો તરફથી વિવિધ આયોજનો કરી વિરોધ કરવામાં આવી રહ્યો હતો.