- બકરી ઇદની કુર્બાની માટે ઘરે જ તૈયાર કર્યો બકરો
- 130 કિલોના બકરાને રોજ વડના પાન, ઘઉં અને દૂધ પીવડાય
- બકરાને એક વર્ષથી દીકરાની જેમ પાળ્યો
વલસાડ :વાપીમાં રહેતા ઉમર ફારૂક નામના મુસ્લિમ બિરાદરે તેમના ઘરે જ બકરી ઇદની કુર્બાની માટે 130 કિલોનો બકરો તૈયાર કર્યો છે. ઉમર ફારૂકનો પરિવાર વર્ષોથી આ રીતે પોતાના ઘરે જ સારી નસલના બકરા પાળે છે. તેઓને બકરા પાળવાનો શોખ છે. તેમની પાસે હિમાચલના વિલાયતી ઘેટાં સહિત UP, રાજસ્થાન અને ગુજરાતના સારી નસલના 25 ઘેટા-બકરા છે. જ્યારે બકરી ઇદની કુર્બાની માટે કુલ 8 બકરાને જાતે જ પાળીને મોટા કર્યા છે.
130 કિલોનો બકરો કુર્બાની માટે તૈયાર કરવામાં આવ્યો
દેખાવે તગડો લાગતો આ બકરો વાપીના ઉમર ફારૂક નામના મુસ્લિમ પરિવારનો છે. જેનું વજન 130 કિલો છે. જેને ખાસ કુર્બાની માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઇદમાં અપાતી કુર્બાની અને તે માટે પોતાના બાળકની જેમ બકરાને મોટો કરવા અંગે ઉમર ફારૂકે જણાવ્યું હતું કે, જેમાં પોતાનાપણાનો ભાવ હોય, જેની કુર્બાની હંમેશા દિલમાં રહી જાય એ જ સાચી કુર્બાની છે. એટલે તેમનો પરિવાર વર્ષોથી આ રીતે પોતાના ઘરે જ બકરાને દીકરાની જેમ પાળીને મોટો કરે છે. આ વર્ષે કુર્બાની માટે તેઓએ ગુર્જરી નસલનો રાજસ્થાની બકરો પસંદ કર્યો છે.
આ પણ વાંચો : દેશભરમાં બકરી ઇદની ઉજવણી, જામા મસ્જિદમાં ઇદની નમાઝ અદા કરાઇ
બકરાની દીકરાની જેમ માવજત કરીને ઉંચી નસલનો બનાવ્યો
ઉમર ફારૂક અને તેમનો પરિવાર દર વર્ષે રાજસ્થાનના મેવાડ અને પંજાબથી કે ગુજરાતમાંથી કુર્બાની માટે ખાસ બકરા લાવે છે. એક વર્ષ આસપાસના આ બકરાઓને તે પોતાના ઘરે જ પાળે છે. આ બકરાને પણ એક વર્ષથી તેના દીકરાની જેમ માવજત કરીને ઉંચી નસલનો બનાવ્યો છે. દરરોજ તેને ખાવા માટે અઢી કેરેટ વડના પાન આપવામાં આવે છે. એ ઉપરાંત દોઢ કિલો જેટલા ઘઉં અને કેલ્શિયમયુક્ત ગાયનું દૂધ પીવડાવાય છે. બકરો જાણે પરિવારનો એક સભ્ય હોય તે રીતે ચારેય ભાઈઓ અને તેના બાળકો તેની સાર-સંભાળ કરે છે.