વડોદરા: વડોદરા શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી રાઉન્ડ ધ ક્લોક ચાલી રહી છે. છતાં પણ પશુપાલકો દ્વારા ઢોરને રસ્તે રઝળતા મુકવામાં આવી રહ્યા છે. ત્યારે આજે એકાએક માણેજા વિસ્તરમાં આવેલી પંચરત્ન સોસાયટી પાસે એક વૃદ્ધ મહીલાને ગાયે કચડી નાખી હતી. મૃતક વૃદ્ધ મહિલાનું નામ ગંગાબેન પરમાર હોવાનું સામે આવ્યું છે. વૃદ્ધ મહિલા બપોરના સમયે પોતાના ઘર તરફ જઈ રહી હતી દરમ્યાન આ ઘટના બની હતી.
પ્રત્યક્ષદર્શી મહિલાએ વર્ણવી ઘટના: આ સમગ્ર ઘટના અંગે પ્રત્યક્ષદર્શી સંતોષ સૈનીેએ જણાવ્યું હતું કે અચાનક બપોરના સમયે કોઈનો જોર જોરથી અવાજ આવી રહ્યો હતો. અમે ઘરની અંદર હતા અને જોર શોરથી બચાઓ... બચાઓ...ની બુમો પડી રહી હતી. ત્યારે અમે જોયું તો વૃદ્ધ મહિલા પર ગાયે હુમલો કરેલો હતો અને બચકા ભરી રહી હતી. આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. પરંતુ ગાયના હુમલાથી બધા ડરી ગયા હતા અને ગાય પર પથ્થર મારી બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગાયે વૃદ્ધ મહિલાને રહેસી નાખી હતી. જે કોઈ બચાવવા જાય તેની પાછળ ગાય દોડતી હતી. જેથી કોઈ મદદે પહોંચી શક્યું ન હતું. છેલ્લા કેટલાય વર્ષોથી આ ગાયો અહીં બાંધવામાં આવતી હતી. અમે જો કઈ કહેવા જઈએ તો મારવાની ધમકી પણ આપવામાં આવતી હોવાથી કોઈ બોલી શકતું ન હતું. આ મહિલાએ કહ્યું કે તે મૂળજી ભરવાડ નામનો કોઈ વ્યક્તિ છે આ ગાયો તેની છે.
આ પણ વાંચો Ahmedabad Crime : રખડતા ઢોરે અડફેટે લેતા વધુ એક મોત, પોલીસે પશુ માલિક સામે નોંધ્યો ગુનો