વડોદરા: રાજ્યભરમાં કોરોનાનો વ્યાપ ધીમે ધીમે વધવા માંડ્યો છે. લોકો ભયના ઓથા હેઠળ જીવી રહ્યાં છે, તો બીજી તરફ વડોદરામાં દૂષિત પાણી ઉભરાતી ગટરો અને રોડ રસ્તાની સમસ્યાથી નગરજનો પારાવાર યાતનાઓનો સામનો કરી રહ્યાં છે. વડોદરાના વાઘોડિયા રોડ સ્થિત બાપોદ વિસ્તારમાં આવેલા વુડાના મકાનોમાં રહેતા રહીશોએ એકત્ર થઈ દૂષિત પાણી, ઉભરાતી ગટરો અને પાણી જન્ય રોગ વકરતા મામલે માટલાં ફોડી તંત્ર સામે વિરોધ કર્યો હતો.
વડોદરામાં વુડાના મકાનોના રહીશોનો દૂષિત પાણી અને ઉભરાતી ગટરોને લઇને આક્રોશ વ્યક્ત કર્યો - વડોદરા કોર્પોરેટર
વડોદરામાં દૂષિત પાણી, ઉભરાતી ગટરો સહિતની સમસ્યાથી વકરેલા પાણીજન્ય રોગોથી ત્રાહિમામ પોકારી ઉઠેલા વાઘોડિયા રોડ વુડાના મકાનોના રહીશોએ માટલાં ફોડી ઉગ્ર સુત્રોચ્ચારો કરીને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

આ અંગે રહીશોએ જણાવ્યું હતું કે, કોરોનાથી તો પછી પરંતુ પહેલાં આ દૂષિત પાણી અને રોગચાળાથી અમે લોકો મરી જઈશું. છેલ્લા 6 મહિનાથી દૂષિત પીવાનું પાણી અને ઉભરાતી ગટરના પ્રશ્ને તંત્રને અનેક વખત રજુઆત કરવામાં આવી હતી. છતાં પણ સમસ્યાનું નિરાકરણ નહીં થતા આજે રોગચાળો ફેલાયો છે. ઘરે-ઘરે લોકો ઝાડા-ઉલટીના રોગચાળામાં સપડાયા છે. કોઈ અધિકારી કે સ્થાનિક કોર્પોરેટર અહીં ફરક્યા પણ નથી. અહીં 1500થી વધુ લોકો વસવાટ કરે છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવતા ઘણી મુશ્કેલીઓ પડી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કારમી મોંઘવારી અને કોરોનાં રૂપી રાક્ષસના લોકડાઉનમાં પણ પાણીવેરો, ઘરવેરો, વીજ બિલો સમયસર ભરતા હોવા છતાં પણ આજે આ સમસ્યાનું નિરાકરણ કરવામાં તંત્ર આંખ આડા કાન કરતાં સ્થાનિકો રોગચાળાના ખપ્પરમાં હોમાયા છે અને તંત્ર પાસે સત્વરે સમસ્યાનો ઉકેલ લાવવા માંગણી કરી રહ્યાં છે.