ડભોઇ:દભોવતિનગરીમાં નવરાત્રી મહોત્સવમાં એક ખાસ નિયમો લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમનું પાલન ન કરનાર ખેલૈયાઓને ગરબા ગ્રાઉન્ડમાં ગરબા રમવાની એન્ટ્રી આપવામાં નહીં આવે અને તેમને ત્યાંથી જ પાછા જવું પડશે. ડભોઈમાં ગઢ ભવાની કલ્ચરલ ગ્રૂપ દ્વારા આયોજિત ગરબામાં યુવાઓએ કપાળ ઉપર તિલક કરીને આપવાનું રહેશે. હિન્દુ ધર્મની સંસ્કૃતિ અને પરંપરા અનુસાર લલાટ ઉપર તિલક હોવું જરૂરી છે.
Vadodara News: ડભોઇ એપીએમસી ગ્રાઉન્ડ ખાતે વર્ષોની પરંપરા મુજબ યોજાતા ગરબામાં ગઢભવાની કલ્ચરલ ગ્રુપ દ્વારા મહત્વનો નિર્ણય
Published : Oct 10, 2023, 3:30 PM IST
ડભોઇ એપીએમસી ગ્રાઉન્ડ ખાતે વર્ષોની પરંપરા મુજબ યોજાતા ગરબામાં ગઢ ભવાની કલ્ચરલ ગ્રૂપ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. લલાટ ઉપર તિલક કરીને અને એડમિશન ડ્રેસ પહેરી ને આવનાર લોકોને જ ગરબામાં એન્ટ્રી મળશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગરબા ગ્રુપનો મહત્વનો નિર્ણય:દભોવતિનગરીમાં ગઢ ભવાની કલ્ચરલ ગ્રૂપ એ ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા સંચાલિત છે. તેમના દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે લલાટ ઉપર તિલક રાખનારને અને ટ્રેડિશનલ ડ્રેસ સાથે ગરબા ગ્રાઉન્ડમાં ગરબા રમવા એન્ટ્રીનો નિર્ણય માત્ર હિન્દુ સંસ્કાર અને સંસ્કૃતિને ટકાવી રાખવાના હેતુસર લેવાયો છે. કોઈ લઘુમતી કોમના લોકો અહીં ગરબા રમવા આવતા નથી. ડભોઈમાં હિન્દુ અને મુસ્લિમ પોત-પોતાના તહેવારો ભાઈચારાથી શાંતિપૂર્વક ઉજવે છે.
પ્રતિવર્ષ મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઘૂમે: ધારાસભ્ય શૈલેષ મહેતા જણાવ્યું હતુ આ ગરબા ગ્રુપમાં મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધા ભેજ જોડાતા હોય છે. દર વર્ષે 7000 જેટલા ખેલૈયાઓ ગરબે ઘૂમે છે. તેમણે કહ્યું કે હિંદુ ધર્મમાં તિલક લગાવવું એ પરંપરાનો એક વિશેષ ભાગ છે. તિલક લગાવવાથી ગ્રહોની ઉર્જા સંતુલિત રહે છે અને મન શાંત અને એકાગ્ર રહે છે. હિંદુ ધર્મમાં કોઈપણ શુભ કાર્ય માટે ઘરની બહાર નીકળતા પહેલા તિલક લગાવવું શુભ માનવામાં આવે છે. તમામ પ્રકારની પૂજા, યજ્ઞ અને અનુષ્ઠાનમાં તિલક લગાવવામાં આવે છે. જેથી વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આપણે આપણા સંસ્કારોને જાળવી રાખવામાં સહભાગી બનવું જોઈએ.