વડોદરાઃ શહેરના નજીક આવેલા દરજીપુરા ગામનો વર્ષ-2015થી કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ અગાઉ દરજીપુરા ગામ વુડાની હદમાં કે પછી કોર્પોરેશનની હદમાં નહતો. જેને કારણે સ્થાનિક રહીશોની હાલત કફોડી હતી. ત્યારબાદ ગુજરાત સરકારે દરજીપુરા વિસ્તારને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સમાવેશ કરતો નિર્ણય કર્યો હતો. જેથી, કોર્પોરેશન દ્વારા વર્ષ-2015થી તમામ પ્રકારના વેરાની વસૂલાત કરવાની શરૂઆત કરવામાં આવી હતી. તે બાદ પણ સ્થાનિક રહીશોને આજ દિન સુધી કોઈ પ્રાથમિક સુવિધા નહીં મળતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. પરિણામે આંદોલનનો માર્ગ અપનાવવાની ફરજ પડી છે.
દરજીપુરા ગામના લોકોએ પ્રાથમિક મદદ ન મળતા 'કામચોર કોર્પોરેટર અને ધારાસભ્ય'ની પ્રવેશ બંધીના પોસ્ટર લગાવ્યા - સ્થાનિક રહીશો
વડોદરા શહેર નજીક આવેલા દરજીપુરા ગામનો સમાવેશ વડોદરા મહાનગરપાલિકામાં કરવામાં આવ્યો છે. પરંતુ આજદિન સુધી કોઇ પ્રાથમિક સુવિધાઓ ન મળતા અને લોકડાઉનમાં પણ કોઇ સહાય ન મળતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ કામચોર ધારાસભ્ય અને વોર્ડ નંબર-4ના કામચોર કોર્પોરેટરો માટે પ્રવેશબંધી તેવા બેનરો લગાવી દેખાવો કર્યાં હતા.
સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો હતો કે, દરજીપુરા વિસ્તારનો સમાવેશ કોર્પોરેશનની હદમાં કરવામાં આવ્યા પછી અવાર-નવાર ધારાસભ્ય મનીષાબેન વકીલ અને ભાજપના કોર્પોરેટર અજીત દાધિચ તેમજ કોંગ્રેસના કોર્પોરેટર અનિલ પરમાર સમક્ષ પાણી, રસ્તા, સ્મશાન, દવાખાનું જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા માટે રજૂઆતો કરી હતી. છતાં કોઈ પ્રાથમિક સુવિધા આપવામાં આવી નથી અને વેરાની વસૂલાત કરવામાં આવી રહી છે.
લોકડાઉન દરમિયાન પણ અનાજની કીટ માટે પણ રજૂઆત કરી હતી. છતાં ધારાસભ્ય કે કોર્પોરેટરો આ વિસ્તારમાં દેખાણા જ નથી. લોકડાઉન દરમિયાન તેઓએ ફોન ઉપાડવાના જ બંધ કરી દીધા હતા. જોકે, વડોદરાના મેયરનો સંપર્ક કરતા તેમણે અનાજની કીટ મોકલવાની વ્યવસ્થા કરતા લોકોએ રાહત અનુભવી હતી. ગામ લોકોએ જણાવ્યું કે, અમારી વહેલી તકે માંગણી પૂરી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ન છૂટકે અમારે ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવો પડશે. આજે અમે ધારાસભ્ય મનિષા વકીલ તેમજ ભાજપાના કાઉન્સિલર અજીત દધિચ તેમજ કોંગ્રેસના કાઉન્સિલર અનિલ પરમારની પ્રવેશબંધીના બેનરો લગાવીને ગાંધી ચિંધ્યા માર્ગે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને દેખાવો કર્યો છે. પરંતુ, આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરતા પણ ખચકાઇશું નહીં. તેવી ચિમકી ઉચ્ચારી હતી.