સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે કરૂણા અભિયાન 2020નું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકામાં કન્ટ્રોલ રૂમ ઉભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પશુ દવાખાનાઓમાં અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ઘાયલ પક્ષીઓને તાત્કાલીક નજીકના કન્ટ્રોલ રૂમ અથવા પક્ષી સારવાર કેન્દ્ર સુધી પહોંચાડવા માટે સ્વંય સેવકોની ટીમ બનાવવામાં આવી છે.
ઘાયલ પક્ષીઓની સારવાર માટે કરૂણા અભિયાન દ્વારા કન્ટ્રોલરૂમ શરૂ કરાયા
સુરેન્દ્રનગર: કરૂણા અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા મથકોએ કન્ટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં વન વિભાગ, પશુપાલન વિભાગ, રાજયની વિવિધ નગર પાલિકાઓ, મહાનગર પાલિકાઓ, પોલીસ વિભાગ, બિનસરકારી સંસ્થાઓ તથા સ્વંય સેવકો સેવા આપી રહ્યાં છે. કરૂણા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓને સારવાર આપી તેમનો જીવ બચાવવાનો છે.
કરૂણા અભિયાન
આ કરૂણા અભિયાનમાં ધારાસભ્ય ધનજીભાઈ પટેલ અને નગરપાલિકાના પ્રમુખ વિપીનભાઈ ટોળીયાએ હાજરી આપી હતી અને લોકોને સાવચેતી રાખીને પતંગ ઉડાડવા અપીલ કરી હતી. ઉપરાંત સવારે અને સાંજે જ્યારે પક્ષીઓ વધુ ઉડતા હોય ત્યારે પતંગ નહીં ઉડાડવા અપીલ કરી હતી. આ સેવા કાર્યમાં અનેક યુવાનો પણ જોડાયા હતા. આ કામગીરીમાં વનવિભાગ કર્મચારી અને જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સવારથી જ ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી.