ગુજરાત

gujarat

By

Published : Apr 22, 2020, 10:10 AM IST

ETV Bharat / state

સુરેન્‍દ્રનગર: પાણી પુરવઠા પ્રધાનની હાજરીમાં કોરોના વાઈરસ અંગેની સમીક્ષા બેઠક યોજાઈ

રાજ્યના પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળીયાએ સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાત લીધી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાઈરસ અને લોકડાઉન સંદર્ભે જિલ્‍લા વહિવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા વિવિધ કાર્યોની સમીક્ષા કરવા માટે બેઠક યોજવામાં આવી હતી.

A review meeting on Corona virus was held at Surendranagar in the presence of the Minister of Water Supply.
સુરેન્‍દ્રનગર ખાતે પાણી પુરવઠા પ્રધાનની હાજરીમાં કોરોના વાઈરસ અંગેની સમીક્ષા બેઠક યોજાઈ

સુરેન્દ્રનગર: દુનિયા અને દેશ હાલ કોરોના વાઈરસથી લડી રહ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર કોરોના વાઈરસની ગંભીરતાને સમજી જરૂરી પગલા લઈ રહી છે. જે બાબતનું જિલ્લા લેવલે સાવચેતી માટે લેવામાં આવેલા પગલાનું પાલન કેવું થાય છે, તે જોવા સમીક્ષા બેઠક યોજવામાં આવે છે.

આ અંતર્ગત રાજ્યના પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળીયાએ સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાત લીધી હતી. તેમજ કોરોના વાઈરસ અને લોકડાઉન દરમિયાન કરવામાં આવતી કાર્યવાહીની સમીક્ષી કરવા બેઠક યોજી હતી.

આ બેઠકમાં પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળીયાએ જણાવ્‍યું હતું કે, અત્‍યારે આપણે સૌ કોરોના વાઈરસના નિર્ણાયક તબક્કામાંથી પસાર થઇ રહયા છીએ, ત્‍યારે દરેક બાબતમાં સોશિયલ ડિસ્‍ટન્‍સ જળવાઇ રહે તે ખુબ જ જરૂરી છે. હાલ કોરોના વાઈરસ બાબતે જિલ્‍લાની સ્‍થિતિ પ્રમાણમાં ખૂબ સારી છે. આવી જ પરિસ્‍થિતિ જળવાઇ રહે તે માટે શહેરી વિસ્‍તારની સાથે સાથે ગ્રામ્‍ય વિસ્‍તારમાં પણ અન્‍ય જિલ્‍લામાંથી લોકો પ્રવેશ ન મેળવે તે બાબતની જાગૃતતા લાવવી જોઈએ. આ બાબતે ગામના લોકો દ્વારા જ ગામની સરહદો સીલ કરી બહારથી આવતા લોકોને પ્રવેશવા ન દેવા તેમજ ગામમાં રહેતા લોકોની વિશેષ કાળજી રાખવી જોઈએ. જો અન્‍ય જિલ્‍લામાંથી કે બહારથી કોઈ વ્‍યક્તિ આવે તો તેની જાણ સત્વરે સબંધિત વિભાગને થાય અને તેનો તુરત જ તેનો ટેસ્‍ટ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.

કોઈપણ વ્યક્તિ રાશનના અભાવે ભૂખ્‍યો ન રહે તે માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે, અને આ માટે પ્રત્યેક જિલ્લામાં પુરતા પ્રમાણમાં રાશનનો જથ્થો પણ ઉપલબ્‍ધ કરાયો છે. તેમ જણાવી કુવરજી બાવળીયાએ આ બાબતે વિશેષ કાળજી રાખવા જિલ્‍લા વહિવટી તંત્રને તાકિદ કરી હતી.

આગામી દિવસોમાં ઉનાળો શરૂ થવાનો છે, ત્‍યારે જિલ્‍લામાં કોઈપણ ગામમાં પીવાના પાણીની મુશ્‍કેલી ન રહે તે માટે પણ પાણી પુરવઠા પ્રધાને સબંધિત અધિકારીઓને સુચના આપી હતી..

આ પ્રસંગે કલેકટર કે. રાજેશે જિલ્‍લામાં કોરોના વાઈરસ બાબતે જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીની વિગતો આપતા જણાવ્યું હતુ કે, જિલ્લામાં કોરોનાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા મથકે ગાંધી હોસ્પિટલ ખાતે 10 ડોક્ટર, 100 આઈસોલેશન બેડ તથા 10 વેન્ટિલેટર ધરાવતી ડેઝીગ્નેટેડ કોવીડ-19 હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે.

આ ઉપરાંત જિલ્લાના લીંબડી અને ધ્રાંગધ્રા ખાતે 20-20 બેડની અને સુરેન્દ્રનગર ખાતે આવેલ સી. યુ. શાહ મેડીકલ કોલેજ અને હોસ્પીટલ ખાતે 50 બેડ ધરાવતા ડેડીકેટેક કોવીડ-19 હેલ્થ સેન્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ જિલ્લાના લખતર, ચોટીલા, ચુડા, સાયલા, પાટડી, મુળી, રાજસીતાપુર અને રાણાગઢના પ્રત્યેક CHCમાં 20-20 બેડના કોવીડ-19 કેર સેન્ટર મળીને જિલ્લામાં કુલ 160 બેડની સુવિધાવાળા 8 કોવીડ-19 કેર સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે.

જિલ્‍લાના 1,95,734 એન.એફ.એસ.એ. કાર્ડધારકો, 1,28,369 નોન એન.એફ.એસ.એ. કાર્ડધારકો, 10,734 બી.પી.એલ. એન.એફ.એસ.એ. કાર્ડધારકોને રાશનનો જથ્‍થો પુરો પાડવામાં આવ્યો છે. અન્‍ન બ્રહ્મ યોજના અંતર્ગત પ્રથમ તબક્કામાં 11,373 કાર્ડધારકોને રાશન આપવામાં આવ્યું છે. જયારે બીજા તબક્કામાં 25000 કાર્ડધારકોને રાશન અપાશે.

પોલીસ અધિક્ષક મહેન્‍દ્ર બગડીયાએ જિલ્‍લામાં કોરોના વાઈરસ સબંધે પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી અંગે વિસ્તૃત વિગતો રજૂ કરી હતી.

આ બેઠકમાં લોકસભા સાંસદ ડો. મહેન્‍દ્ર મુંજપરા, ધારાસભ્‍યો ધનજી પટેલ, પરસોતમ સાબરીયા, ઋત્‍વિક મકવાણા, નૌસાદ સોલંકી, ઈન્‍ચાર્જ જિલ્‍લા વિકાસ અધિકારી શૈલેષ શાહ, નિવાસી અધિક કલેકટર એન. ડી. ઝાલા, નગરપાલિકા પ્રમુખ વિપીન ટોલીયા, અગ્રણીઓ દિલીપ પટેલ, જગદીશ મકવાણા, અનિરૂધ્‍ધસિંહ પઢીયાર, હિતેન્‍દ્રસિંહ ચૌહાણ, શંકર વેગડ, વર્ષાબેન દોશી, કિરીટસિંહ રાણા સહિત પદાધિકારી- અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details