ગુજરાત

gujarat

By

Published : Apr 30, 2021, 7:30 PM IST

ETV Bharat / state

બારડોલી અને મહુવા તાલુકાના 16 ગામ સહિત શહેરમાં ફરી એક વખત વિકેન્ડ લોકડાઉન

સુરત જિલ્લામાં બારડોલી નગરપાલિકા તેમજ બારડોલી અને મહુવા તાલુકાના 16 ગામમાં ફરી એક વખત વિકેન્ડ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. બારડોલી એસ.ડી.એમ દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચના અનુસાર બારડોલી નગરપાલિકા વિસ્તાર ઉપરાંત તાલુકાના 10 ગામ અને મહુવા તાલુકના 6 ગામમાં શુક્રવારે રાત્રે 8 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી સ્વૈચ્છીક લોકડાઉન લાગુ રહેશે.

બારડોલી અને મહુવા તાલુકાના 16 ગામ સહિત શહેરમાં ફરી એક વખત વિકેન્ડ લોકડાઉન
બારડોલી અને મહુવા તાલુકાના 16 ગામ સહિત શહેરમાં ફરી એક વખત વિકેન્ડ લોકડાઉન

  • બારડોલી નગર અને ગામડાઓમાં ફરી એક વખત લોકડાઉન
  • બારડોલીના દસ અને મહુવાના 6 ગામોમાં લોકડાઉન
  • કોરોના સંક્રમણને રોકવા લેવાયો નિર્ણય

સુરતઃ જિલ્લામાં કોરોનાની સ્થિતિ હજી સુધી સુધરી નથી. જિલ્લાના બારડોલી શહેર અને તાલુકાના કેટલાક ગામમાં તો કોરોનાનો રાફડો ફાટયો હોય તેમ રોજના અનેક કેસ સામે આવી રહ્યા છે. હોસ્પિટલ પણ ઉભરાય રહી છે. ત્યારે તંત્ર દ્વારા ફરી એક વખત વિકેન્ડ લોકડાઉનનો સહારો લેવામાં આવ્યો છે. વિકેન્ડ લોકડાઉનથી કોઈ ફરક પડતો ન હોવા છતાં સ્થાનિક તંત્ર કે નગરપાલિકા દ્વારા હજી સુધી કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવતા કોરોના વકરી રહ્યો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

આવશ્યક સેવાઓ સિવાય તમામ દુકાનો બંધ રહેશે

આ પરિસ્થિતી વચ્ચે તંત્ર દ્વારા બારડોલી શહેર ઉપરાંત તાલુકાનાં 10 ગામ અને મહુવા તાલુકાના 6 ગામમાં ફરી એક વખત વિકેન્ડ લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ લોકડાઉન 30 એપ્રિલ શુક્રવારે રાત્રે 8 વાગ્યાથી 3 મે સોમવાર સવારે 6 વાગ્યા સુધી લાગુ રહેશે. આ સમય દરમિયાન આવશ્યક સેવાઓ સિવાય તમામ દુકાનો અને બજારો બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ બારડોલી શહેર અને તાલુકાના 7 ગામ તેમજ મહુવાના 6 ગામમાં વિકેન્ડ લોકડાઉન

આ ગામમાં રહેશે લોકડાઉન

બારડોલી શહેર ઉપરાંત તાલુકાના વધુ સંક્રમણ ધરાવતા ગામ તેન, બાબેન, ઇસરોલી, ધામડોદ લુંભા, કડોદ, મઢી, સુરાલી, મોતા, વાંકાનેર અને સરભોણમાં બે દિવસ માટે બજારો બંધ રહેશે. એ જ રીતે મહુવા તાલુકામાં તાલુકાનું મુખ્ય મથક મહુવા, અનાવલ, વલવાડા, કરચેલીયા, ઓંડચ અને શેખપુર ગામના બજારો બંધ રાખવાની અપીલ એસ.ડી.એમ. દ્વારા કરવામાં આવી છે.

પલસાણામાં શનિ અને રવિવારે સંપૂર્ણ તેમજ અન્ય દિવસોમાં આંશિક લોકડાઉન

પલસાણા તાલુકામાં વધી રહેલા કોરોના સંક્રમણને પગલે પલસાણા ગ્રામ પંચાયત દ્વારા 1 મે 2021, શનિવારથી અન્ય સૂચના ન મળે ત્યાં સુધી શનિવાર અને રવિવારના રોજ આવશ્યક સેવાઓ સિવાયની તમામ દુકાનો બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય દિવસો દરમિયાન સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી જ દુકાનો ચાલુ રાખવા જણાવવામાં આવ્યું છે. બે વાગ્યા બાદ તમામ દુકાનો બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details