ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં વૈદિક લગ્નની સંસ્કૃતમાં પત્રિકા, મુખ્ય અતિથિ ગૌમાતા - મુખ્ય અતિથિ ગૌમાતા

લગ્નમાં મહેમાનો અને અતિથિઓ અંગે અનેક વાતો સાંભળી હશે પરંતુ સાંભળીને આશ્ચર્ય થશે કે સુરતમાં થનાર એક અનોખા લગ્નમાં મુખ્ય અતિથિ અને મહેમાન તરીકે ગૌમાતાની હાજરી રહેશે.આ પહેલા સુરતમાં આવા કોઈ લગ્ન થયા નથી કે, જેમાં ગાયમાતાને બોલાવવામાં આવી હોય અને એટલું જ નહીં આ ગાયની સાક્ષીમાં વર-વધુ લગ્નગ્રંથિથી જોડાશે. આ વૈદિક લગ્ન માટે સંસ્કૃતમાં આમંત્રણ પત્રિકા લખવામાં આવી છે. જ્યારે ગાય સાથે વરઘોડો અને ગાયની સાક્ષીમાં ગૌવધુલીની સહિતની વિધિ કરવાનો નિર્ધાર કરાયો છે.

સુરતમાં વૈદિક લગ્ન માટે સંસ્કૃતમાં આમંત્રણ પત્રિકા,મુખ્ય અતિથિ ગૌમાતા
સુરતમાં વૈદિક લગ્ન માટે સંસ્કૃતમાં આમંત્રણ પત્રિકા,મુખ્ય અતિથિ ગૌમાતા

By

Published : Jan 27, 2020, 2:00 PM IST


સુરત : શહેરમાં એક ખાસ લગ્ન થવા જઈ રહ્યા છે, જેમાં મુખ્ય અતિથિ તરીકે ગૌમાતાની હાજરી રહેશે.એટલું જ નહીં ગૌમાતાની સાક્ષીમાં વર-વધુ સાત ફેરા લેશે. આ ખાસ લગ્નમાં કંકોત્રી પણ ખાસ બનાવામાં આવી છે અને એટલે જ કંકોત્રી સંસ્કૃત ભાષામાં લખવામાં આવી છે.ભટાર રોડ પર અમૃતકુંજ એપાર્ટમેન્ટમાં રહેતા અને મૂળ રાજસ્થાનના રામપાલ ગાડોદિયાના પુત્ર રોહિત કુમાર અને વેસુમાં રહેતા મદનલાલ તોડીની પુત્રી અભિલાષા 3 ફેબ્રુઆરીએ લગ્નના તાંતણે બંધાશે. રોહિત કુમાર બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં પીએચડી કરી રહ્યા છે અને અભિલાષા CA છે.

સુરતમાં વૈદિક લગ્ન માટે સંસ્કૃતમાં આમંત્રણ પત્રિકા,મુખ્ય અતિથિ ગૌમાતા

રામપાલ અને મદનલાલ બંને વર્ષોથી સારા મિત્રો હોવાની સાથે ટેક્સટાઇલ વ્યવસાયમાં પણ સાથે સંકળાયેલા છે.બંનેના પુત્ર અને પુત્રી લગ્નજીવનમાં પગલું માંડી રહ્યા છે ત્યારે બંને પરિવારોએ લગ્ન સમારોહ થકી ભારતીય સંસ્કૃતિનું જતન અને વૈદિક પરંપરાનો અમલ કરવાનો સંકલ્પ કર્યો છે. જે અંતર્ગત ગાય માતાની સાક્ષીમાં વૈદિક રીતે સંગીતમય પાણીગ્રહ વિધિ કરાશે,એટલું જ નહીં લગ્નમાં સિંગલ પ્લાસ્ટિક યુઝની સાથે સાથે માટીના 5000 ગ્લાસ રાખવામાં આવશે, જેથી પર્યાવરણની જાળવણી કરવામાં આવે.

આગામી ૩ ફેબ્રુઆરીએ યોજાનારા લગ્ન સમારોહ માટે બે ગાય માતા અને એક વાછરડા સાથે વરઘોડો કાઢવામાં આવશે. પાર્ટી પ્લોટની 100 મીટર દૂરથી ગાય માતા અને વાછરડાને વરઘોડામાં સામેલ કરવામાં આવશે .લગ્નમંડપમાં ગાય માતા અને વાછરડાના પ્રવેશ બાદ જ વરરાજાનો પ્રવેશ કરાવામાં આવશે. ઉપરાંત મહેમાનોને આમંત્રણ માટે સંસ્કૃત ભાષામાં પાંચ પાનાની લગ્ન પત્રિકા લખવામાં આવી છે. કાગળનો વ્યય અટકાવવા માટે ડિજિટલ પત્રિકા થકી પણ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

ત્યારે આ અંગે વરરાજાના પિતા રામપાલ એ જણાવ્યું હતું કે, આજની યુવાપેઢી ભારતીય મૂળની વૈદિક પરંપરાને જાણે એ હેતુથી લગ્ન આયોજનમાં વિવિધ પ્રકારના સંકલ્પ સાકાર કરાયા છે. ગાયની સાક્ષીમાં અને વૈદિક રીતે 31 બ્રાહ્મણો દ્વારા પાણી ગ્રહ વિધિ કરાશે.પાણી ગ્રહ વિધિ વેળાએ એક મંડપમાં ગાય માતાની હાજરી રહેશે.

આ સિવાય રાજસ્થાની સમાજમાં રાત્રે લગ્ન થાય છે તેની જગ્યાએ સાંજે લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.આ સાથે મરાઠી સમુદાયમાં અક્ષતા વિધિ કરવામાં આવે છે પરંતુ રાજસ્થાન સમાજમાં આ વિધિ થતી નથી,જોકે પરિવાર દ્વારા આ વિધિ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એક તરફ જ્યાં લોકો લગ્નમાં ફિલ્મી ગીત વગાડતા હોય છે ત્યારે આ લગ્નમાં દેશભક્તિ અને સાંસ્કૃતિક ગીતો સાંભળવા મળશે એટલું જ નહીં લગ્નમાં ચાંદલામાં મળનાર રકમ રાષ્ટ્ર માટે કાર્ય કરનાર સંસ્થાઓને અર્પણ કરાશે.મહત્વનું છે કે ,અન્ય યુવાઓની જેમ આ બંનેએ પ્રી-વેડિંગ શૂટિંગ અને અન્ય ખર્ચાઓ પણ નથી કર્યા. લગ્નનો મુખ્ય હેતુ પર્યાવરણની જાળવણી અને વૈદિક લગ્ન અંગે લોકોને જાગૃત કરવાનો છે.

ABOUT THE AUTHOR

...view details