ગુજરાત

gujarat

સુરતમાં ભારે વરસાદના પગલે ઓલપાડનું સાયણ ગામ બેટમાં ફેરવાયું, જુઓ વીડિયો

By

Published : Aug 16, 2020, 9:26 AM IST

છેલ્લા 4 દિવસથી પડી રહેલા સતત વરસાદના કારણે સમગ્ર સુરત જિલ્લામાં જળબંબાકાળની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ઓલપાડ તાલુકમાં છેલ્લા 24 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે ઓલપાડ નગર બેટમાં ફેરવાયું હતું, તો બીજી તરફ ઓલપાડના સાયણ ગામે ખાડી ઓવરફ્લો થતા સમગ્ર સાયણ પંથકમાં ખાડીના પાણી ફરી વળ્યા હતાં.

Surat
ભારે વરસાદના પગલે ઓલપાડનું સાયણ ગામ બેટમાં ફેરવાયું

સુરત: જિલ્લામાં ભારે વરસાદને કારણે નદી-નાળા અને ચેકડેમો ઓવરફ્લો થયા છે. નદીમાં પાણીની ભારે આવકને પગલે સમગ્ર જિલ્લામાં જળબંબાકાળની પરિસ્થિતિ સર્જાઈ છે. ઓલપાડ તાલુકાના સાયણ ગામે ભારે વરસાદને લઇ સોસાયટીઓમાં તેમજ રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં. ઓલપાડ-સાયણ અને સાયણ-કીમ જવાના મુખ્ય માર્ગો પર પાણી ભરાય જતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. તદ્દપરાંત સાયણની આરાધના, અંબિકા, સાફલ્ય અને રસુલાબાદ વિસ્તારમાં લોકોના ઘરોમાં ખાડીના પાણી ફરી વળ્યા હતાં.

આ સોસાયટીઓમાં સ્થાનિકોને ટ્રેક્ટરની મદદથી બહાર લાવવામાં આવી રહ્યાં હતાં. લોકોના ઘરોમાં પાણી ભરાઇ જતા લોકો અગાસી અથવા પોતાના ઉપરના મકાનમાં રહેવા મજબૂર બન્યા હતા. ખાડીમાં ભારે પાણીની આવકે આ સોસાયટીઓના સ્થાનિકો માટે તારાજી સર્જી હતી. સાયણ મુખ્ય માર્ગ પણ બેટમાં ફેરવાયો હતો. સાયણથી નેશનલ હાઈવેને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થતા અવર-જવર નહીંવત થઇ હતી. ખાડી ઓવરફલો થવાના કારણે સાયણ ગામના સ્થાનિકોની હાલત કફોડી બની છે.

સુરતમાં ભારે વરસાદના પગલે ઓલપાડનું સાયણ ગામ બેટમાં ફેરવાયું

સ્થાનિકો સ્થાનિક પંચાયત તંત્ર પર ફિટકાર વરસાવી રહ્યા છે. તંત્ર દ્વારા કોઈ પણ પ્રી-મોન્સુન કામગીરી કરવામાં આવી નથી, જેનો ભોગ સાયણની પ્રજા બની રહી છે. લોકોના ઘરોમાં 2-2 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા તેમની ઘર વખરીના સામાનને પણ ઘણું નુકશાન પહોંચ્યું હતું. સાયણની લોકલ ખાડી ઓવરફ્લો થતા સમગ્ર સાયણ ગામમાં પૂર જેવા દ્રશ્યો સર્જાયા હતા. પૂર જેવી પરિસ્થિતિને પગલે સ્થાનિક ગ્રામજનો તોબા પોકારી ઉઠ્યા છે, પરંતુ પંચાયત તંત્ર દ્વારા તેમને મદદની તો દૂરની વાત પંરતુ કોઈ જોવા સુધ્ધા પણ આવ્યા નથી. જેમાં સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, સાયણ ગામમાં ગેરકાયદેસર બાંધકામને કારણે પાણીનો નિકાલ યોગ્ય રીતે થઇ શકતો નથી. જેને પગલે ખાડીનું પાણી ઓવરફ્લો થઇ સીધું લોકોના ઘરમાં પ્રવેશે છે. હાલ તો ગ્રામજનો માંગ કરી રહ્યાં છે કે, પંચાયત હદમાં જે ગેરકાયદેસર બાંધકામો થયા છે, તેનું ડિમોલીશન કરી વર્ષોથી પાણી ભરાવાની જે સમસ્યા છે તેનો અંત લાવે.

ABOUT THE AUTHOR

...view details