ગુજરાત

gujarat

સુરતની કિરણ હોસ્પિટલમાં સરકારી યોજનાઓ બંધ કરવા આદેશ, દર્દીઓને ભારે હાલાકી

By

Published : Oct 9, 2019, 5:58 PM IST

સુરત: શહેરની કિરણ હોસ્પિટલમાં વડાપ્રધાન દ્વારા શરૂ કરાયેલી આયુષ્યમાન યોજનાને બંધ કરી દેવાનો રાજ્ય આરોગ્ય કમિશનર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવેલી હોસ્પિટલ પર ગંભીર આક્ષેપ થયા છે. અહીં સરકારની પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના, માઁ વાત્સલ્ય કાર્ડ અને માઁ અમૃતમ કાર્ડ હેઠળ ચાલી આવતી યોજનાનો લાભ ગરીબ વર્ગને પુરી પાડવામાં આવતો નથી. આ સાથે જ લાભાર્થીઓ પાસેથી સારવાર નો ખર્ચ પણ રોકડમાં વસુલ કરવામાં આવ્યો છે. જો કે તેની સીધી અસર દર્દીઓ પર જોવા મળી રહી છે અને સારવાર માટે આવેલા દર્દીઓએ હવે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

સુરતની કિરણ હોસ્પિટલ

કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ વર્ગના લોકોને મફત સારવાર મળી રહે તે માટે માઁ અમૃતમ કાર્ડ, માઁ વાત્સલ્ય કાર્ડ તેમજ પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડની યોજના અમલમાં લાવવામાં આવી છે. આ યોજનામાં શહેરની કેટલીક નામાંકિત હોસ્પિટલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જે હોસ્પિટલમાં સરકારની યોજનાઓ હેઠળ ગરીબ વર્ગના લોકોને આપવામાં આવતી મફત સારવારનો ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા ચુકવવામાં આવે છે.

સુરતની કિરણ હોસ્પિટલ

સરકારી યોજનામાં સમાવેશ સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી કિરણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. હોસ્પિટલનો હેતુ લોકોને રાહતદરે યોગ્ય સારવાર આપવાનો અને લોકોને સરકારી યોજના હેઠળ પૂરતો લાભ આપવાનો હતો. પરંતુ વડાપ્રધાન મોદીની યોજનાઓને પણ અવગણી ગરીબ દર્દીઓને લાભાર્થીઓને સારવાર આપવામાં હોસ્પિટલના કર્તાહર્તાઓ નિષ્ફળ સાબિત થયા.

આ અંગેની ફરિયાદ અવારનવાર સ્થાનિક તંત્રને પણ મળી હતી. જ્યાં આખરે રાજ્ય આરોગ્ય કમિશનરે આ મામલે તપાસ કરતા કિરણ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી અને સરકારી યોજનાના લિસ્ટમાંથી કિરણ હોસ્પિટલનું નામ બાકાત કરી દેવાયું હતું. આ અંગે હોસ્પિટલના તબીબ સ્નેહલ પટેલે જણાવ્યું કે, ગાંધીનગરથી ઈ-મેઈલ દ્વારા જાણ કરવામાં આવી છે અને ક્યાં કારણોસર યોજના બંધ કરવામાં આવી છે તેની જાણ કરવામાં આવી નથી પરંતુ આ મામલે હાલ પૂરતી યોજના બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આરોગ્ય કમિશનર ના આ નિર્ણય બાદ હવેથી સરકારી યોજના હેઠળ કિરણ હોસ્પિટલ દર્દીઓને સારવાર આપી શકશે નહીં. જેથી હોસ્પિટલની બેદરકારી ના કારણે લાભાર્થીઓ તથા દર્દીઓએ ભોગ બનવાનો વારો આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details