સુરત :માંગરોળ તાલુકામાં તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને લઈને તાલુકાનું રાજકારણ ગરમાયું છે. દરેક વ્યક્તિ દ્વારા પોતે અથવા પોતાના માણસને સત્તા મળે એ માટે એડીચોટીનું જોર લગાવવામાં રહ્યું છે. પંચાયતના માંગરોળ પ્રમુખ તાલુકા પદ માટે સત્તાધારી ભાજપ પક્ષના ચાર જેટલા ચૂંટાયેલા સભ્યોએ સેન્સ પ્રક્રિયા દરમિયાન દાવેદારી કરી છે. જ્યારે ઉપપ્રમુખ પદ માટે ત્રણ સભ્યો અને કારોબારી અધ્યક્ષ પદ માટે ત્રણ સભ્યોએ પોતાની દાવેદારી નોંધાવી છે.
તાલુકા પંચાયત ચૂંટણી : માંગરોળ તાલુકા પંચાયતની અગાઉ યોજાયેલ ચૂંટણીમાં ભાજપ પક્ષે 19 જેટલી બેઠકો જીતી સત્તા પ્રાપ્ત કરી હતી. જ્યારે વિરોધ પક્ષ કોંગ્રેસના 5 સભ્યો ચૂંટાયા હતા. અઢી વર્ષની ટર્મ પૂરી થતા નવી ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જેમાં પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે તારીખ 13 સપ્ટેમ્બરના રોજ સવારે 11 થી 2 દરમિયાન ઉમેદવારો ઉમેદવારી નોંધાવી શકશે. અને 2 થી ૩ દરમિયાન ઉમેદવારી પત્રોની ચકાસણી થશે.
પ્રમુખ પદના દાવેદાર :તારીખ 14 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી પ્રક્રિયા શરુ થનાર છે. પરંતુ તે પહેલા સત્તાધારી ભાજપ પક્ષે સેન્સ પ્રક્રિયા શરૂ કરી હતી. જેમાં પ્રમુખ પદ માટે વડ બેઠક ઉપરથી ચૂંટાયેલા દીપકભાઈ ચૌધરી, માંડણ બોરીયા બેઠક ઉપરથી મુકેશ ગામીત, ઘોડબાર બેઠક ઉપરથી ચૂંટાયેલા શકુંતલાબેન ચૌધરી અને મોટા બોરસરા બેઠક ઉપરથી ચૂંટાયેલા મનહરભાઈ વસાવાએ દાવેદારી નોંધાવી છે.