ઓલપાડ તાલુકાના કિમ ગામમાં શુક્રવારે મોડી રાતના સતત 2 કલાક સુધી વરસાદ વરસ્યો હતો. સતત વરસાદના પગલે રસ્તા પર, સોસાયટીમાં અને લોકોના ઘરમાં વરસાદના પાણી ફરી વળ્યાં હતા તથા હોસ્પિટલ અને મંદિરમાં પણ વરસાદના પાણી ભરાયા હતા. રાત્રીના સમયે સતત 2 કલાક વરસેલા વરસાદે રહીશોની ઊંઘ ઉડાડી દીધી હતી. લોકો પોતાના ઘરમાં ભરાયેલા પાણીને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
મૂશળધાર વરસાદના લીધે ઘરોમાં અને મંદિરમાં પાણી ફરી વળ્યાં - Akshay Patel
સુરતઃ જિલ્લામાં વરસાદનું આગમન થઈ ગયું છે અને મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે ઓલપાડના કિમ ગામમાં સાંબેલાધાર વરસાદથી પાણી સોસાયટીમાં અને લોકોના ઘરમાં ઘુસી ગયા હતા. તંત્ર દ્વારા પણ કોઈ મદદ કરવામાં ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.

ભારે વરસાદ અને કિમમાં ચાલી રહેલી ઓવરબ્રિજની કામગીરીને પગલે કિમની જીવન ધારા સોસાયટી, સાધના હોસ્પિટલ તેમજ અમૃતનગર સહિતની સોસાયટીઓમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. બીજી બાજૂ વાત કરવામાં આવે તો આ સોસાયટીના રહીશોની સમસ્યાથી સ્થાનિક તંત્ર અજાણ હતું. જેને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. લોકોનું કહેવું છે કે, સરપંચ તથા ડેપ્યુટી સરપંચને વારંવાર ફોન કરવા છતાં પણ તઓએ ફોન ઉઠાવ્યા ન હતા. તેમજ આગાઉ પણ વરસાદના પાણી ભરાયા હતા, ત્યારે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રએ ઉદાસીનતા દાખવી હતી.