ડાયમંડ કટિંગ અને પોલિશ હબની સાથે વિશ્વમાં વેચાણ થતા 10 પૈકી 8 હીરા સુરતમાં તૈયાર થાય છે. તેમ છતા અત્યાર સુધી એકેય ડાયમંડ માઈનીંગ કંપની સુરતમાં ડાયમંડના ટ્રેડિંગ કે પ્રર્દશન માટે આવતી ન હતી. જેની પાછળ કસ્ટમની પરવાનગી તેમજ ઉંચા ટેક્સ રેટને જવાબદાર ગણવામાં આવતું હતું.
24 હજાર કેરેટ હીરાના પ્રર્દશન પૈકી 5950 કેરેટ હીરાની સુરતની કંપનીઓએ ખરીદી કરી - સુરતના સમાચાર
સુરત: ડાયમંડ કટિંગ અને પોલિશ્ડનું હબ ગણાતા સુરતમાં સૌપ્રથમ વખત ડાયમંડ માઈનીંગ કંપની દ્વારા તેના હીરાનું પ્રર્દશન સપ્ટેમ્બરમાં યોજાયું હતું. મધ્યપ્રદેશની પન્ના માઈન્સના 24 હજાર કેરેટના હીરાનું પ્રર્દશન ઈચ્છાપોર ખાતે તૈયાર જીજેઈપીસીના સુરત ઈન્ટરનેશનલ ડાય ટ્રેડ સેન્ટર ખાતે યોજાયું હતું. જેમાં સુરતની 36 કંપનીઓએ ભાગ લઈ 28મી ઓક્ટોબરથી યોજાયેલા ઈ-ઓક્શનમાં 5950 કેરેટના હીરાની ખરીદી કરી છે.
જેઈપીસી દ્વારા ઈચ્છાપોર ખાતે તૈયાર કરવામાં આવેલા ઈન્ટરનેશનલ ડાય ટ્રેડ સેન્ટર ખાતે સપ્ટેમ્બર માસમાં 3 દિવસ માટે હીરાનું પ્રર્દશન યોજાયું હતું. જેમાં એમપીના પન્ના માઈન્સની કંપની સુરતમાં પ્રથમ વખત તેના 24 હજાર કેરેટ જેમ ક્વોલિટીના હીરાના પ્રર્દશન માટે આવી હતી. આ ત્રિ-દિવસીય પ્રર્દશનમાં 36 જેટલી સુરતની કંપનીઓએ રજિસ્ટ્રેશન કરી હીરાની ચકાસણી કરી હતી. જે પૈકી તારીખ 28 થી શરૂ થયેલા ઈ-ઓક્શનમાં સુરતની કંપનીઓએ ભાગ લઈ 24 હજાર પૈકી 5950 કેરેટના 110 પેકેટ રૂપિયા 7.38 કરોડની કિંમતે ખરીદ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સુરત આવી હીરાનું પ્રર્દશન યોજવા માટે ઈન્ટરનેશનલ ડાયમંડ માઈનીંગ કંપનીઓ જેવી કે ડીબિયર્સ, અલરોઝા, રીયો ટીન્ટોએ તૈયારી બતાવી છે. કસ્ટમ દ્વારા ડાય ટ્રેડ સેન્ટરને પરવાનગી મળવાની રાહ જોવાઈ રહી છે. કસ્ટમ અધિકારીઓ દ્વારા આ સેન્ટરનું ઈન્સ્પેક્શન થઈ ચૂક્યું છે. આવનારા દિવસમાં સુરતમાં ઈન્ટરનેશનલ ડાયમંડ માઈનીંગ કંપનીઓ પણ ડાયમંડનું પ્રર્દશન કરે તેવી આશા સેવાઈ રહી છે.