ગુજરાત

gujarat

By

Published : Dec 29, 2020, 12:01 PM IST

ETV Bharat / state

કામરેજ અને ભાટિયા ટોલનાકા પર સ્થાનિક વાહન ચાલકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવા માગ

સુરત જિલ્લામાં કામરેજ અને ભાટિયા ખાતે આવેલા બે ટોલ પ્લાઝા પર 1 જાન્યુઆરીથી ફરજિયાત થઈ રહેલા ફાસ્ટેગને કારણે સ્થાનિક વાહન ચાલકોને પણ ટેક્સ ચૂકવવો પડશે. આથી ના કર ટોલ બચાવો સમિતિ દ્વારા સ્થાનિકોને ટોલ ચૂકવવામાંથી રાહત આપવાની માગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

કામરેજ અને ભાટિયા ટોલનાકા પર સ્થાનિક વાહન ચાલકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવા માગ
કામરેજ અને ભાટિયા ટોલનાકા પર સ્થાનિક વાહન ચાલકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવા માગ

  • સુરત (જીજે 5) અને બારડોલી (જીજે 19)ના વાહન ચાલકોને મુક્તિ આપવા માગ
  • મુક્તિ નહીં અપાય તો આંદોલનની ચીમકી
  • બંને ટોલ પ્લાઝા પર બે લેન અલગથી ફાળવવા રજૂઆત


બારડોલી: આગામી 1 જાન્યુઆરી 2021થી ટોલનાકા પર ફાસ્ટેગ ફરજિયાત કરી દેવાયુ છે, ત્યારે સુરત જિલ્લામાં નેશનલ હાઇવે પર આવેલા ભાટિયા અને કામરેજ ટોલનાકા પર સ્થાનિકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માગ સાથે ‘ના કર’ ટોલ બચાવ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. જો ટોલ ટેક્સમાંથી મુક્તિ નહીં અપાય તો આંદોલન છેડવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર સુરત જિલ્લાના કામરેજ, ઉમરપાડા, માંગરોળ, પલસાણા, ચોર્યાસી, બારડોલી, માંડવી અને ઓલપાડ તેમજ સુરત શહેરના અંદાજે 15 હજાર જેટલા વાહનો દરરોજ નેશનલ હાઇવે નંબર 53 (સુરત - ધુલિયા) પર આવેલા ભાટિયા તેમજ નેશનલ હાઇવે નંબર 48 (મુંબઈ - અમદાવાદ) પર આવેલા ચોર્યાસી (કામરેજ) ટોલનાકા પરથી પસાર થાય છે.

કામરેજ ટોલનાકા પર અત્યાર સુધી સ્થાનિકોને ટોલટેક્સ ભરવામાંથી મુક્તિ હતી

અત્યાર સુધી કામરેજના ટોલનાકા પર સુરત(જી.જે.5) અને બારડોલી(જી.જે.19) વાહનોને ટોલ ભરવામાંથી મુક્તિ આપવામાં આવી હતી. જ્યારે ભાટિયા ટોલનાકા પર સ્થાનિક વાહન ચાલકો સામે ઉઘરાવવામાં આવી રહેલા અયોગ્ય ટોલ ટેક્સના વિરોધમાં 'ના કર' ટોલ બચાવ સમિતિ દ્વારા લડત ચલાવવામાં આવી રહી છે. જેને કારણે સ્થાનિકો ખૂબ નજીવા દરે ટોલનાકા પરથી પસાર થઈ શકે છે.

જો રોકડ લેન બંધ થાય તો કામરેજમાં 40 અને ભાટિયામાં 165 રૂપિયા ચૂકવવા પડશે

હવે 1લી જાન્યુઆરી 2021 થી સમગ્ર દેશની સાથે સુરતના ભાટિયા અને કામરેજ ટોલનાકા પર સ્થાનિકો માટેની રોકડ લેન બંધ કરી દેવાતા ટોલ નાકાના સંચાલકો દ્વારા જાહેરાત કરવામાં આવી છે. રોકડની લેન બંધ થતાં સુરત અને બારડોલી પાર્સિંગના વાહનોએ કામરેજ ટોલનાકે અવર-જવરના 40 રૂપિયા અને ભાટિયા ટોલનાકે અવર-જવરના 165 રૂપિયા ચૂકવવા પડશે. કોરોના વાઇરસની મહામારી વચ્ચે નાગરિકોને મોટો આર્થિક ફટકો પડી રહ્યો હોવાને કારણે લોકોની મુશ્કેલી વધવાની સંભાવના આવેદન પત્રમાં વ્યક્ત કરવામાં આવી છે.

બંને ટોલ પ્લાઝા પર મુક્તિની માગ

કામરેજ ટોલનાકા પર બારડોલી અને સુરત બંને આરટીઓના વાહનો પાસે કોઈ ટેક્સ ભર્યા વગર પસાર થવા દેવામાં આવતા હતા. આથી 1લી જાન્યુઆરી પછી પણ સુરત અને બારડોલી પાર્સિંગના તમામ વાહનોને બંને ટોલ પ્લાઝા પર ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

મુક્તિ નહીં મળે તો આંદોલનની ચીમકી

આ ઉપરાંત બંને ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહન ચાલકો માટે બે લેન અલગથી કાર્યરત રાખવામાં આવે જેથી સરળતાથી લોકોની આવનજાવન થઈ શકે. જો આમ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ના કર ટોલ બચાવ સમિતિ દ્વારા લડત ઉપાડી હાઇવે જામ કરવા સુધીનો કાર્યક્રમ યોજવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details