સુરતઃ ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસી ધારાસભ્ય લલિત વસોયા પોતાનો મત વિસ્તાર છોડીને સુરત પહોંચ્યા છે. લલિત વસોયા સુરતથી અંદાજે 21 જેટલી બસ પોતાના વિધાનસભાના નાગરિકો માટે ગોઠવી ચૂક્યા છે. રાજકોટ અને સુરત જિલ્લા કલેકટરની મંજૂરી લઈને આ બસ સુરતથી રાજકોટ જવા આવનારા બેથી ત્રણ દિવસમાં રવાના થશે. લલિત વસોયા કદાચ પહેલા એવા નેતા હશે કે જે પોતાના મતદારો માટે કોરોનાના કપરા સમયમાં મફત બસ મુસાફરી કરાવશે.
કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયાએ સુરતમાં રહેતા પોતાના વિસ્તારના લોકોને વતન જવાની વ્યવસ્થા કરી - સુરતના સમાચાર
ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયા સુરતમાં રહેતા તેમના મતવિસ્તારના તમામ લોકો જે પોતાના વતન જવા ઈચ્છે છે તેમના માટે બસની વ્યવસ્થા કરી રહ્યા છે. આ ઉપરાંત જે લોકો આર્થિક રીતે બસનું ભાડું ન ભરી શકે તેમને નિ:શુલ્ક તેમના મતવિસ્તારમાં મોકલવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અત્યાર સુધી લલિતભાઈ દ્વારા આશરે 21 જેટલી બસનું બુકિંગ કરાવી દેવામાં આવ્યું છે.

ધારાસભ્ય લલિત વસોયાના જણાવ્યા મુજબ સુરતમાં તેમના મત વિસ્તારના આશરે 7000 જેટલા લોકો રહે છે, જે રત્ન કલાકારો છે અથવા તો એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરે છે તેમની આર્થિક પરિસ્થિતિ સારી નથી અને બીજી બાજુ હાલ એસ.ટી.બસની ઓનલાઇન બુકિંગ શરૂ થતા તેઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ગ્રુપ બુકિંગ તથા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં તેમને મુશ્કેલી થઈ રહી છે કારણ કે મોટાભાગે આ લોકો અશિક્ષિત છે. જેને પગલે તેઓ પોતાના મત વિસ્તારના લોકોને ઓનલાઇન બુકિંગ પણ કરી રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સુરતથી તેમના મતવિસ્તારમાં જનારા તમામ લોકોને જે તે સમાજની વાડીમાં હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવશે અને તેમના રહેવાની અને જમવાની સગવડ પણ કરવામાં આવશે. જેમને સમાજની વાડી અથવા શાળામાં રહેવા નથી જવું તેમના માટે તેમના નિવાસસ્થાને ક્વોરેન્ટાઇન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.