- તાલુકા પંચાયતની 8 અને જિલ્લા પંચાયતની 2 બેઠકો બિનહરીફ
- તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા
- સૌથી વધુ ઓલપાડમાં જિલ્લા પંચાયત સહિત 6 બેઠકો બિનહરીફ
સુરત: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારીપત્રો પરત ખેંચવાના છેલ્લા દિવસે જિલ્લા અને તાલુકા પંચાયતોની 10 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. જેથી ભાજપમાં ખુશીનો માહોલ છવાયો છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં ઘણી બેઠકો પર ભાજપ બિનહરીફ જાહેર થયું છે.
ઓલપાડ તાલુકા પંચાયતની 5 બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ
ઓલપાડ તાલુકામાં સૌથી વધુ 5 તાલુકા પંચાયત બેઠકો અને એક જિલ્લા પંચાયત બેઠક બિનહરીફ થઈ હતી. ઓલપાડ તાલુકા પંચાયતની પિંજરત બેઠક પર કોંગ્રેસ કે અન્ય કોઈ પક્ષ ઉમેદવારી નોંધાવી નહીં શકતા પહેલાથી જ ભાજપના ઉમેદવાર નિમિષા રજનીકાંત પટેલ બિનહરીફ જાહેર થયાં હતાં, જ્યારે ઓલપાડ-1 બેઠક પર જ્યોત્સના રજનીકાંત પટેલ, અરિયાણા બેઠક પર પ્રિયંકા નિકુંજ પટેલ, દાંડી બેઠક પર જયેશ મહાદેવ પટેલ અને કદરામા બેઠક પર જશુ વસાવાના હરીફ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા બિનહરીફ જાહેર થયાં હતાં.
ચોર્યાસી તાલુકા પંચાયતની 2 બેઠકો બિનહરીફ
બીજી તરફ ચોર્યાસી તાલુકા પંચાયતની કવાસ બેઠક પર ભાજપના આસ્તિક બાબુ પટેલ અને હજીરા 1 બેઠક પર સતીશ ભગુ પટેલ બિનહરીફ જાહેર થયા છે.