સુરત: શહેર આમ આદમી પાર્ટીના પ્રભારી પર યોગીચોક વિસ્તારમાં ગત રોજ થયેલા હુમલાના પગલે પાર્ટી દ્વારા આજ રોજ સુરત જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. જેમાં રાજ્યના આરોગ્યપ્રધાનના ઈશારે આ હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા છે.
સુરતના યોગીચોક વિસ્તારમાં આવેલા આમ આદમી પાર્ટીના કાર્યાલય બહાર ગત રોજ પાર્ટીના પ્રભારી રામ ધડુક પર ત્રણથી ચાર જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો.પોસ્ટર લગાડવાના તને બહુ શોખ છે, કહી તેની પર હુમલો કરવામાં આવ્યો હતો.જેમાં રામ ધડુકને ગંભીર ઈજા થતાં તેને સારવાર અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
AAPના પ્રભારી પર થયેલા હુમલાની તપાસ કરાવવા કલેકટરને આવેદન આ પગલે સુરતનું રાજકારણ ગરમાયું છે. પાર્ટી દ્વારા આ ઘટનાનો ભારે વિરોધ થઈ રહ્યો છે. સુરત શહેર આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાણી પાર્ટીના પ્રભારી પર થયેલા આ હુમલા માટે રાજ્ય આરોગ્યપ્રધાન કુમાર કાણાનીને જવાબદાર ઠેરવી રહ્યાં છે. જે સંદર્ભે તેમણે આજ રોજ કલેકટર કચેરી બહાર ભાજપ સામે વિરોધ કરીને ન્યાયની માગણી કરતાં સૂત્રોચ્ચાર કર્યા હતા.
પાર્ટીના પ્રવક્તાએ આ અંગે જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી વચ્ચે એક વિરોધ પક્ષ તરીકે રાજ્યના આરોગ્યપ્રધાનની નિષ્ફળ કામગીરીને ઉઘાડી પાડવામાં આવી હતી. જેથી મંત્રી અને તેના માણસોના પેટમાં તેલ રેડાયું છે. આ હુમલો કરાવવામાં આવ્યો છે. જ્યાં પાર્ટીમાં રહેલા આવા ગુંડાતત્વોને બહાર હાંકી કાઢવા રાજ્યના મુખ્યપ્રધાનને જિલ્લા કલેકટર મારફતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.