ગુજરાત

gujarat

ETV Bharat / state

બારડોલીમાં અકસ્માત બાદ રિક્ષા સવારોએ બાઇક ચાલકનું અપહરણ કરી લૂંટ ચલાવી - Bardoli police

બારડોલીના અલંકાર સિનેમાથી સ્ટેશન તરફ જતાં રોડ પર રોંગ સાઇડે આવતી એક રિક્ષાએ સામેથી આવતી બાઇકને ટક્કર મારી દેતાં બાઇક સવાર દંપતી અને તેની બે વર્ષની પુત્રી નીચે પટકાયા હતા, જ્યારે રિક્ષા ચાલકે અને તેની સાથેનો એક શખ્સે રિક્ષા ઊભી કરી બાઇક ચાલકને રિક્ષામાં બેસાડી માર મારી તેની પાસેથી સોનાની ચેન, રોકડ રકમ અને મોબાઇલ ફોન સહિત કુલ 31 હજારથી વધુની લૂંટ કરી ખરવાસા તરફ લઈ ગયા બાદ અસ્તાન રોડ પર આવવારું જગ્યા છોડી નાસી છૂટ્યા હતા. આ ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસે રિક્ષા ચાલક સહિત બે સામે અપહરણ, લૂંટ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Bardoli crime news
Bardoli crime news

By

Published : Sep 26, 2020, 2:59 PM IST

બારડોલી: કોરોના મહામારી દરમિયાન સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા લોકડાઉનથી લોકોને આર્થિક નુકસાની વેઠવી પડી છે. ત્યારે રાજ્યમાં ગુનાખોરીના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. તો બારડોલી શહેરના ગાંધીરોડ પર આવેલા ખોડિયાર નગર સોસાયટીમાં રહેતા ધવલકુમાર દિલીપસિંહ ગોડાદરીયા ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જે શુક્રવારે સાંજે પોતાની પત્ની પ્રિયંકા અને પુત્રી ક્રિવા સાથે બાબેનના તળાવ પર ફરવા માટે ગયા હતા. જ્યાંથી રાત્રે 8.30 વાગ્યાની આસપાસ પોતાની બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન અલંકાર સિનેમાથી રેલ્વે સ્ટેશન તરફ જતાં રોડ પર રોંગસાઈડ પર પૂર- ઝડપે આવતી ઓટો રિક્ષા તેમની મોટરસાયકલ સાથે અથડાતાં ત્રણેય નીચે પટકાયા હતા, તેમજ રિક્ષા પણ પલટી મારી ગઈ હતી.

આ દરમિયાન રિક્ષામાં સવાર બે શખ્સો રિક્ષા ઊભી કરી ભાગવા જતાં હતા ત્યારે ધવલે રિક્ષા પકડી રાખતા પાછળ બેસેલા એક શખ્સે ધવલને ખેંચીને રિક્ષામાં બેસાડી નાસી છૂટયા હતા, બાદમાં ચાલુ રિક્ષાએ ધવલને ઢીકામુક્કીનો માર મારી ગળું દબાવી દીધું હતું. ત્યારે ધવલે બૂમાબૂમ કરતાં રિક્ષા ખરવાસા રોડથી અસ્તાન તરફ જતાં સૂમસામ રોડ પર હંકારી મૂકી ત્યાં એક અવાવરુ જગ્યા પર ધવલને માર મારી તેની પાસેથી એક તોલાની સોનાની ચેન કિમત રૂ. 30 હજાર, પત્નીનો મોબાઇલ ફોન કિમત રૂ. 5 હજાર અને રોકડા રૂ. 800 સહિત આધારકાર્ડ, એટીએમ કાર્ડ, લાઇસન્સ સહિત અન્ય દસ્તાવેજો સાથેનું પાકીટ ઝૂંટવી લઈ તેને અવાવરુ જગ્યા પર છોડીને નાસી છૂટ્યા હતા.

ત્યારબાદ તેમણે તેમના મોબાઇલ ફોનથી પરિવારજનોને જાણ કરતાં પરિવારજનો ત્યાં પહોંચ્યા હતા. પરિવારજનોએ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત ધવલને બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ધવલની ફરિયાદના આધારે લૂંટ કરનારા દાદુ અને મનિયો નામના ઇસમો વિરુદ્ધ લૂંટ, અપહરણ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

હાલ ઇજાગ્રસ્ત ધવલની સરદાર સ્મારક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જ્યારે બારડોલી પોલીસે લૂંટ ચલાવનાર બંને આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details