સુરત: કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યાને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે સુરતને રેડ ઝોન જાહેર કર્યું છે, પરંતુ રેડ ઝોન હોવા છતા પણ અન્ય શહેરોની તુલનામાં સુરતમાં કોરોના પોઝિટિવ દર્દીઓ ઝડપથી સાજા થઇ રહ્યા છે. એક સમયે સુરતમાં કોરોના દર્દીઓનો રિકવરી રેટ માત્ર ૫ ટકા હતો જે આજે 50 ટકાની નજીક પહોંચી ગયો છે. આ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ખાસ સ્ટેટ્રેજી તૈયાર કરવામાં આવી છે.
કોરોનાના દર્દીઓને સાજા કરવા સુરત મનપાની અનોખી સ્ટ્રેટેજી - undefined
આજે સુરત માટે મોટો દિવસ છે કારણ કે રાજ્યભરમાં અન્ય શહેરોની તુલનાએ કોરોના વાઇરસના પોઝિટિવ દર્દીઓ સુરતમાં ઝડપથી સાજા થઇ રહ્યા છે અને આજે આ આંકડો ૫૦ ટકા સુધી પહોંચી ગયો છે. એટલે કે 337 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ સાજા થયા છે. કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર કરી તેમને સાજા કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા અનોખી સ્ટ્રેટેજી તૈયાર કરવામાં આવી છે.
આ અંગે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે સેમ્પલિંગ અને ટેસ્ટિંગ સાથે જ તેમની ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવે છે અને ખાસ ડોકટરોની ટીમ દ્વારા સતત મોનિટરિંગ થાય છે. દરેક કોરોના પોઝિટિવ દર્દીઓના લક્ષણો જુદા જુદા હોય છે. કોઈને શરદી અથવા ઉધરસ અથવા તો ડાયેરિયાના લક્ષણો સામે આવે છે. જે મુજબ તેમની સારવાર કરવામાં આવે છે. અત્યાર સુધી જે મૃત્યુ થયા છે તેની પાછળ કોમોરબીડ કન્ડિશન જવાબદાર છે. જેમાં હાઇપરટેંશન અને ડાયાબિટીસના દર્દીઓ સામેલ છે. તેમનું સાઇકોસોમેટિક ડાયગ્નોસીસ કરી કોરોનાની મેડિકલ ટ્રિટમેન્ટ આપવામાં આવે છે.
સુરતના લંબે હનુમાન રોડ ખાતે રહેતી અત્યાર સુધીની સૌથી નાની દર્દી જાહ્નવીને ડોકટરો દવામાં માત્ર સિરપ આપતા હતા. તે તેની માતા સાથે હોસ્પિટલમાં હતી. ફક્ત દૂધ અને સિરપથી 15 જ દિવસમાં તે કોરોનાને માત આપીને તેના ઘરે પહોંચી હતી. તો બીજી તરફ સૌથી વૃદ્ધ 70 વર્ષીય ચંદ્રિકા જરીવાળા કે જેઓ હાઇપરટેન્શનના દર્દી હતા અને હોટસ્પોટ વિસ્તારમાંથી આવતા હોવા છતાં 17 દિવસમાં જ કોરોના સામે જંગ જીત્યા હતા તેમને પણ દવા અને દૂધ આપીને સાજા કર્યા છે.