સુરત: આજે આખો દેશ સ્વતંત્રતાનો 74મો પર્વ ઉજવી રહ્યો છે, ભારે વરસાદ વચ્ચે સુરત જિલ્લાનો સ્વતંત્રતા પર્વ અઠવા લાઇન્સ ખાતે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોજાયો હતો. જેમાં વરસાદ વચ્ચે સોશ્યિલ ડિસ્ટન્સ રાખી અને માસ્ક પહેરી પોલીસ જવાનોએ પરેડ કરી હતી. તેમજ વન અને પર્યાવરણ પ્રધાન ગણપત વસાવાએ રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો અને તમામે સલામી આપી હતી. આ સાથે જિલ્લાના સર્વશ્રેષ્ઠ કોરોના વોરિયર્સને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં વસાવા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વસાવાએ જણાવ્યું હતું કે, કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો છે, તેમ છતાં આપણે બધાં કોરોના સામે લડી રહ્યાં છે. સોશિયલ ડિસ્ટનસિંગ સાથે આપણે એકત્ર થયા છીએ. રાજ્યભરના પ્રત્યેક પરિવાર દ્વારા સ્વતંત્રતા પર્વ ઉમંગ સાથે ઉજવાઈ રહ્યું છે. જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા છે, ત્યારથી દેશભરમાં વિકાસ બમણો થયો છે. 500 વર્ષ જૂના રામ ભૂમિનો ઉકેલ આવી ગયો છે. જેને દસ દિવસ થઈ ગયા છે. જેને લઈ અનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે. પીએમ મોદીએ 370 કલમ નાબૂદ કરી હિંમતભર્યા પગલાં લીધા છે. જેના કારણે અખંડ ભારતનું સપનું લોકો જોઈ રહ્યાં છે.