સાબરકાંઠા: ધાર્મિક આસ્થા અને અનુષ્ઠાનનું મહત્વ ધરાવતો પવિત્ર શ્રાવણ શરૂ થઇ ગયો છે. જેને લઇ શ્રધ્ધાળુઓમાં મહાદેવના મંદિરમાં જઇને ભક્તિ કરવાનો મહિમા છે. પરંતુ ચાલુ વર્ષે કોરોનાનું સંક્રમણ વધતા સાબરકાંઠા કલેક્ટર સી.જે.પટેલની ઉપસ્થિતિમાં જિલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ કે જ્યાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે જાય છે તેવા ચાર મહાદેવ મંદિરના ટ્રસ્ટીગણ સાથે બેઠક યોજી હતી.
બેઠકમાં કલેક્ટર સી.જે.પટેલે જણાવ્યું હતું કે, જિલ્લાના ઇડર તાલુકાના જાદરમાં આવેલા મુધણેશ્વર મંદિર, આરસોડિયાનું સપ્તેશ્વર મંદિર, વિજયનગરનું શારણેશ્વર તેમજ હિંમતનગરના ભોલેશ્વર મંદિર ખાતે શ્રધ્ધાળુઓ વિશેષ સંખ્યામાં ઉપસ્થિત રહેતા હોય છે. જેને લઇ કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતાને નકારી શકાય નહિ.
જો મંદિર સંપૂર્ણપણે બંધ કરાય તો રોગચાળાને કાબૂમાં લઇ શકાય તેમ છે. આ નિર્ણય સાથે તમામ મંદિરના ટ્રસ્ટી ગણે સંમતિ દાખવી હતી અને શ્રાવણમાં ખાસ કરીને સોમવારનું વિશેષ મહત્વ છે તે દરમિયાન કોઇપણ પ્રકારના મેળા કે આ સમયગાળામાં આવતા સાતમ અને જનમાષ્ટીના મેળાને પણ બંધ રાખવા માટે તૈયારી બતાવી હતી.
કલેક્ટર દ્વારા શ્રાવણના પવિત્ર માસમાં શ્રધ્ધાળુઓને ઘરે જ આરાધના કરવા અનુરોધ કરાયો છે તેમ છતા શ્રદ્ધાળુઓની લાગણી ન દુભાય તે માટે મહાદેવના દર્શન કરવા ઇચ્છતા ભક્તગણો કોરોના ગાઇડ લાઇનનો અમલ કરી ફરજીયાત માસ્ક, સેનિટાઇઝર અને સોશિયલ ડિસ્ટસીંગ સાથે દર્શનનો લ્હાવો લઇ શકશે.
જો કે આ સિવાય સાબરકાંઠા જિલ્લામાં સાબરમતી નદીના કિનારે આવેલા સપ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે ચૌલક્રિયા, મૃત્યુ પછીના કર્મકાંડ સહિતની તમામ વિધીઓ તેમજ દશામાની તેમજ ગણેશ મૂર્તિ વિસર્જન નહિ કરી શકાય તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો.