માત્ર સાત દિવસની દીકરીને તેના સગા મા-બાપે તરછોડી દેતાં પોલીસ ત્યજેલા બાળકનું પરિજન બન્યું છે. હિંમતનગર બી ડીવીઝન પોલીસે બાળકની તમામ જવાબદારી અને ખર્ચ ઉઠાવ્યો છે. સાથો-સાથ બાળકીની હાલત અત્યંત ગંભીર હોવાથી તેને અમદાવાદ ખસેડવામાં આવશે અને ત્યારબાદ માતા-પિતા વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદસરની કાર્યવાહી કરવામાં આવશે.
7 દિવસની તરછોડાયેલી બાળકીને મળ્યો PSI પિતાનો સાથ - સાબરકાંઠા પોલીસ
સાબરકાંઠાઃ પોલીસની તંગદિલીના અનેક કિસ્સાઓ સાંભળવા મળે છે પણ તેમની દરિયાદિલીના ઘણા ઓછા બનાવ બહાર આવે છે. તેવા ઘણા ઓછા કિસ્સામાં સાબરકાંઠા પોલીસનો વધુ એક કિસ્સો ઉમેરાયો છે. સાબરકાંઠાની હૉસ્પિટલમાં 7 દિવસનો માસૂમ જીવ મા ના ખોળા માટે તરસી રહ્યું હતું, ત્યારે સાબરકાંઠા પોલીસે આ નોધારા બાળકને પિતાની છાંયા આપી છે. સાથે જ બાળકને બીમાર હાલતમાં છોડી દેવાના આરોપમાં તેના માતા-પિતા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હિંમતનગર શહેરના બી ડીવીઝનમાં એક ફરીયાદ આવી હતી કે, એક બાળકને જન્મતાની સાથે જ હૉસ્પિટલમાં છોડીને જતાં રહ્યાં છે. પોલીસ ફરીયાદને આગળ સાંભળે તે પહેલા PSI પ્રતિપાલસિંહ ગોહિલ અને સ્ટાફના ધ્યાને આવ્યું કે, બાળકની સ્થિતિ અત્યંત નાજુક છે, અને તેને સારવારની જરુર છે, ત્યારે પોલીસે ફરીયાદની કાર્યવાહીને બાજુ પર મૂકી બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યુ હતું, ત્યારે બાળકીને શ્વાસનળીની સર્જરી કરાવવાની જરૂર હોવાનું જણાવ્યું હતું, ત્યારે બી ડીવીઝન પોલીસે આ બાળકીની જવાબદારી ઉપાડી લીધી અને બાળકના માતા અને પિતા તરીકેની તમામ જવાબદારી પોતે જ સ્વીકારી હતી. તેમજ બાળકના પિતા તરીકેની ઓળખ પણ હોસ્પિટલમાં પોલીસે કર્મીએ પોતાની જ દર્શાવી હતી.
આ અંગે બાળકને સારવાર આપતા બાળરોગ નિષ્ણાત ડૉ.હિંમાંશુ પટેલે જણાવ્યું કે, "બાળકને તેની માતા અને પિતા ત્યજીને જતા રહ્યા છે. તેની સ્થિતિ નાજુક હતી. જેને લઇને તેને હાલમાં સારવાર આપવામાં આવી છે અને તેને સર્જરીની જરુર છે. જે અમદાવાદ ખાતે કરવામાં આવશે. આ માટેની તમામ વાલી તરીકેની જવાબદારી અને સર્જરી માટેના ખર્ચની જવાબદારી પણ પોલીસે ઉપાડી છે.