સાબરકાંઠાઃ જિલ્લામાં સૌથી જૂના બંધ તરીકે હાથમતી જળાશયનું નામ આવે છે. 1960માં બનાવાયેલા આ જળાશય થકી આસપાસના 45 કિલોમીટર જેટલા એરિયામાં પાણી સંગ્રહ થાય છે. તેમજ લાખો ક્યુસેક પાણી જળાશય થકી સંગ્રહિત થઈ શકે છે. સાથોસાથ આસપાસના 80થી વધારે ગામડાંઓ માટે આ જળાશયથી પાણી ભૂગર્ભ જળમાં ઉતરે છે. સામાન્ય સંજોગોમાં જળાશય ભરાય એટલે અફવાઓનું બજાર ગરમ રહેતું હોય છે. ત્યારે સાબરકાંઠાના હિંમતનગરના હાથમતી જળાશય નજીકના ગામડાઓમાં જળાશયમાં લીકેજ હોવાની અફવાએ જોર પકડ્યું હતું. આ મામલે સ્થળ તપાસ કરાતા સમગ્ર મામલે એક અફવા હોવાનું ધ્યાને આવ્યું હતું.
સાબરકાંઠાના હાથમતી જળાશયમાં પાણી લીકેજ હોવાની અફવાને લઇ સ્થાનિકોમાં ભય - ETV Bharat News
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની હાથમતી નદી ઉપર બનાવાયેલો હાથમતી જળાશય હાલમાં સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યો છે. ત્યારે સ્થાનિક વિસ્તારમાં ડેમમાં ગાબડું પડ્યું હોવાની અફવાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ સર્જાયો હતો. જોકે, ETV ભારતની ટીમ દ્વારા આ મામલે રૂબરૂ તપાસ કરતા આ એક અફવા સાબિત થઇ છે. જેમાં 1960માં બનાવાયેલા આ જળાશય ડુંગરની બાજુમાં હોવાને પગલે વર્ષોથી પાણી આવી રહ્યા હોવાનું ખુલ્યું હતું.

જોકે ETV ભારતની ટીમ દ્વારા હાથમતી જળાશયની મુલાકાત લઇ આ મામલે સ્થાનિક અધિકારી તેમજ ગ્રામજનોને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, હાલમાં દેખાઈ રહેલું પાણી વર્ષોથી આવે છે. તેમજ જળાશયમાં પાણી વધતા આ પાણી દેખાય છે. હાલમાં દેખાતું આ પાણી એ ડુંગરમાં થઈને આવે છે, જેના પગલે હિંમતનગરની હાથમતી જળાશયને કોઈ ખતરો નથી.
છેલ્લા કેટલાય વર્ષોથી હાથમતી જળાશયની દેખરેખ કરવામાં તંત્ર નબળું પડ્યું છે. જેના પગલે હાલમાં ઝાડી-ઝાંખરા તેમજ અન્ય ચીજવસ્તુઓના ઢગ ખડકાયા હોવાના પગલે આગામી સમયમાં આ મામલે ગંભીરતા નહીં દાખવવામાં આવે તો જળાશય ઉપર સંકટ બની શકે તેમ છે.