ભારે વરસાદને પગલે ગોંડલનું વોરકોટડા ગામ બન્યુ સંપર્ક વિહોણું - વોરકોટડા ગામ સંપર્ક વિહોણું
રાજકોટઃ સરકાર એક તરફ વિકાસની વાતો કરે છે તો બીજી તરફ રાજાશાહી યુગથી આજ દિવસ સુધી ગોંડલ તાલુકાનું વોરકોટડા ગામ ચોમાસાની ઋતુમાં વારંવાર સંપર્ક વિહોણું બની જાય છે, ત્યારે આજે પણ ઉપરવાસમાં ભારે વરસાદના પગલે પુલ પર પાણી ફરી વળ્યા હતાં જેના કારણે ગામ સંપર્ક વિહોણું બની ગયું હતું. ગ્રામજનોની પુલ બનાવવાની વારંવાર રજૂઆત છતાં તંત્ર દ્વારા આજ સુધી આ માગને સંતોષવામાં આવી નથી.

ગોંડલથી 5 કિલોમીટરના અંતરે આવેલ વોરકોટડા ગામ અને ગોંડલ વચ્ચેના રસ્તામાં ગોંડલી નદી પસાર થાય છે. આ નદી ઉપર રાજાશાહી યુગની બેઠી ધાબી આવે છે અને ચોમાસાની ઋતુમાં આ ગોંડલી નદીમાં પૂર આવતાં ગોંડલ વોરાકોટડા વચ્ચેનો વાહન વ્યવહાર ખોરવાઇ જાય છે અને વોરકોટડા ગામ સંપર્ક વિહોણું બની જાય છે. ગ્રામજનો માટે ઇમરજન્સી સારવાર મેળવવી પણ મુસીબત બની જાય છે અને પૂરની પરિસ્થિતિમાં અકસ્માતો સર્જાય છે જેથી ગ્રામજનો દ્વારા વારંવાર ગોંડલી નદી ઉપર પુલ બનાવવાની માગ કરવામાં આવે છે. તેમ છતાં ગ્રામજનોની માગ તંત્રના બહેરા કાને પાછી ફરે છે. આજે પણ બેઠી ધાબી પર પાણી ફળી વળ્યાં છે, ત્યારે ગામના ખેડૂતો પોતાના જીવના જોખમે ટ્રેકટર લઈને લોકોને એક તરફથી બીજી તરફ ટ્રેકટરમાં ફેરા કરવામાં આવે છે. ગ્રામજનોએ આ સમગ્ર મુશ્કેલીને લઇને વિનંતી કરી હતી કે આ પ્રશ્નનો હલ ક્યારે થશે તે જોવા નું રહ્યું.