ગુજરાત

gujarat

By

Published : May 15, 2023, 5:53 PM IST

ETV Bharat / state

Rajkot News : રાજકોટમાં દોઢ વર્ષના બાળકે નાકમાં સીંગદાણા નાંખી દીધાં, છેક આઈસીયુ સુધી પહોંચી ગયો પછી થયું નિદાન

નાનાં બાળકો રમતરમતમાં ઘણીવાર પોતાને નુકસાન થાય તેવું કરી બેસતાં હોય છે. રાજકોટમાં દોઢ વર્ષના બાળકે નાકમાં સીંગદાણા નાંખી દીધાં હતા અને તે ફેફસાં સુધી પહોંચી જતાં ગંભીર હાલત થઇ ગઇ હતી. ત્યારે સમયસરનું નિદાન થતાં તાત્કાલિક સર્જરી કરી બાળકનો જીવ ઉગારવામાં આવ્યો હતો.

Rajkot News : રાજકોટમાં દોઢ વર્ષના બાળકે નાકમાં સીંગદાણા નાંખી દીધાં, છેક આઈસીયુ સુધી પહોંચી ગયો પછી થયું નિદાન
Rajkot News : રાજકોટમાં દોઢ વર્ષના બાળકે નાકમાં સીંગદાણા નાંખી દીધાં, છેક આઈસીયુ સુધી પહોંચી ગયો પછી થયું નિદાન

તાત્કાલિક સર્જરી કરી બાળકનો જીવ બચાવાયો

રાજકોટ : ઘણી વખત રમત રમતમાં નાના બાળકો પોતાના નાક અને મોમાં કંઈક વસ્તુઓ નાખી દેતા હોય છે. જ્યારે આવી ઘટનાના કારણે અમુક વખત બાળકોનો જીવ પણ જોખમાય છે. ત્યારે તાજેતરમાં રાજકોટમાં આવો જ એક કેસ પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક દોઢ વર્ષના ધ્યાન આસોદરિયા નામના બાળકના શ્વાસ નળીમાં સીંગદાણાના કટકા ફસાઈ ગયા હતા.

તાત્કાલિક સર્જરી કરવી પડી : નાકમાં સીંગદાણો ફસાતાં બાળકને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડી રહી હતી. જ્યારે આ સીંગદાણાના ટુકડા બાળકના ડાબા બાજુના ફેફસાની નજીક સુધી પહોંચી ગયા હતાં અને એક તરફ ફેફસામાં શ્વાસ લેવામાં પણ તકલીફો પડી રહી હતી.બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યારે આ બાબતો રાજકોટના ENT સર્જન ડો. હિમાંશુ ઠક્કરને ધ્યાને આવતા તેમને તાત્કાલિક દૂરબીન વડે શ્વાસનળીમાં તપાસ કરી હતી. જેમાં આ બાળકના શ્વાસનળીમાં કંઈક પદાર્થો ફસાયેલો હોય તેવું ત્યારે આવ્યું હતું. જેને તબીબ દ્વારા તાત્કાલિક સર્જરી કરી દૂર કરવામાં આવ્યો હતો અને બાળકનો જીવ બચાવવામાં આવ્યો હતો.

તકલીફ વધી પછી જાણ થઇ : આ બાળકના માતા-પિતા તેને ENT ડો. હિમાંશુ ઠક્કરને ત્યાં લઈને આવતા ડો. હિમાંશુ ઠક્કર દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી હતી. વાત કરવામાં આવે તો દોઢ વર્ષના ધ્યાન આસોદરિયા નામના બાળકને છેલ્લા દસબાર દિવસથી શરદી ઉધરસ અને શ્વાસ લેવાની તકલીફો સર્જાઇ રહી હતી. જ્યારે આ બાળકના અલગ અલગ રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા.

આઈસીયુ સુધી પહોંચી ગયો કેસ : રિપોર્ટમાં કંઈ પણ સામે આવ્યું નહોતું. પરંતુ બાળકને શ્વાસ લેવાની તકલીફ થતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં વેન્ટિલેટર અને આઈસીયુ ઉપર રાખવામાં આવ્યો હતો. તેમજ સઘન સારવાર આપવામાં આવી હતી. સૌપ્રથમ શ્વાસ નળીમાં દૂરબીન વડે તપાસ કરતાં સામે આવ્યું કે આ બાળકના નાકમાં કંઈક વસ્તુ ફસાયેલી છે જેને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવી હતી.

અમારી પાસે ધ્યાન આસોદરિયા નામના દોઢ વર્ષના બાળકનો એક કેસ સામે આવ્યો હતો. જેમાં તેને છેલ્લા દસ-બાર દિવસથી શરદી ઉધરસ, કફ સહિતની તકલીફ હતી. જ્યારે શ્વાસ લેવામાં પણ તેને મુશ્કેલી સર્જાતી હતી. એવામાં અનેક રિપોર્ટ કરાવ્યા પરંતુ કોઈ પણ સામે આવ્યો નહોતું. જ્યારે આ બાળકનું સીટી સ્કેન કરાવવામાં આવ્યું ત્યારે સામે આવ્યું કે તેની શ્વાસ નળીમાં ડાબી બાજુ ફેફસાની નજીક કંઈક વસ્તુ ફસાયેલી જોવા મળી રહી છે... ડો. હિમાંશુ ઠક્કર (ઇએનટી સર્જન)

માતાપિતા માટે ચેતવણીરૂપ કિસ્સો : તબીબની તપાસમાં તમામ બાબતો ધ્યાને આવ્યા બાદ આ બાળકને ઘેનની દવા આપીને દૂરબીન વડે શ્વાસનળીમાં તપાસ કરવામાં આવી હતી અને નાકમાં ફસાયેલો પદાર્થ બહાર કાઢવામાં આવ્યો તો તેમાંથી બે થી ત્રણ જેટલા સીંગદાણાના કટકા હોવાનું જણાયું હતું. શ્વાસનળીમાંથી સીંગદાણાના કટકા કાઢવા તે ખૂબ જ વિકટ પરિસ્થિતિ પણ સર્જાઇ શકે છે કારણ કે અમુક વખતે શ્વાસ નળીમાં કંઈક વસ્તુ ચોંટી જાય ત્યારે બ્લિડિંગ પણ થાય અને બાળકોનું મૃત્યુ પણ થાય તેવા પણ કિસ્સાઓ સામે આવતા હોય છે એટલે કે આ તમામ માતાપિતા માટે એક ચેતવણીરૂપ કિસ્સો કહી શકાય છે.

મારો દોઢ વર્ષના પુત્ર એકાદ મહિના પહેલા માંડવીનો દાણો ગળી ગયો હતો. જે અંગે અમને કાઈ પણ ખ્યાલ નહોતો. જ્યારે તેની શરદી ઉધરસની દવાઓ સતત ચાલુ હતી. એવામાં અમને તબીબ દ્વારા કહેવામાં આવ્યું કે આ બાળકનું સિટી સ્કેન કરાવવું જોઈએ. જેને લઇને અમે બાળકનું તાત્કાલિક સિટી સ્કેન કરાવ્યું હતું. જેમાં સામે આવ્યું કે આ બાળક કંઈક ગળી ગયો છે. ત્યારબાદ અમે ઇએનટી સર્જનનો સંપર્ક કર્યો હતો. જેમણેે અમારા બાળકની સર્જરી કરીને શ્વાસનળીમાંથી સીંગદાણો બહાર કાઢ્યો હતો. દીક્ષિત આસોદરીયા (બાળકના પિતા)

સમયસરનું નિદાન : બાળકને શ્વાસ લેવાની સમસ્યા હતી ત્યારે યોગ્ય સમયે નિષ્ણાત તબીબની તપાસ મળી રહેતાં સમયસબ નિદાન થયું અને સીંગદાણા કાઢવા તાત્કાલિક નાકની સર્જરી કરવામાં આવી હતી. ત્યારે ધ્યાન આસોદરિયા સ્વસ્થ છે અને માતાપિતાના ખોળે રમી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details