રાજકોટનો સિરીયલ કિલર હત્યા કરે તે પહેલાં જ ઝડપાયો - રાજકોટ ક્રાઇમ બ્રાંચે કરી સીરિયલ કિલરની ધરપકડ
રાજકોટ ક્રાઇમ બ્રાંચ દ્વારા એક સિરિયલ કિલરની ધરપકડ કરવામાં આવી છે. કિલરે જેલમાં રહેલા તેના બે કેદી સાથીદારો સાથે મળીને અમદાવાદના એક વેપારીને મોતને ધાટ ઉતારવાનો પ્લાન બનાવ્યો હતો. જોકે કિલર તેના પ્લાનને અંજામ આપે તે પહેલાં ક્રાઇમ બ્રાંચે કિલરની ધરપકડ કરી છે.

રાજકોટઃ રાજકોટ ક્રાઇમ બ્રાંચે તાજેતરમાં જ નિલય મહેતા નામના સિરીયલ કિલરની ધરપકડ કરી છે. કિલરની વધુ પૂછપરછ કરતા સામને આવ્યું હતું કે, એક હત્યાની સોપારી તેણે લીધી હતી. તે હત્યાના કામને અંજામ આપવાનો છે તેવી કબુલાત પણ તેણે કરી છે. નિલયે જેલમાં રહેલા તેના બે સાથીદારો સાથે મળી અમદાવાદના વેપારીની હત્યાનો પ્લાન ઘડ્યો હતો અને ઘટનાને અંજામ આપે તે પહેલાં ક્રાઇમ બ્રાંચે તેની ધરપકડ કરી લીધી હતી. જેલમાં તેનો પરિચય અમદાવાદના પ્રદીપસિંહ નરસિંહ રાજપૂત અને કિશોર ઉર્ફે રવિ ઉર્ફે લાલો રાજેશ કોસ્ટી સાથે થયો હતો. ત્રણેયે અમદાવાદના ઉદય ગનવાળા ઉદયસિંહ ભદોરિયાની હત્યાનો કારસો રચ્યો હતો. જો કે પ્રદીપસિંહના ભાઇએ અગાઉ પણ ઉદયસિંહ ભદોરિયા પર ફાયરિંગ કરી તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો.