રાજકોટમાં કોંગ્રેસનો તંત્ર સામે અનોખો વિરોધ, 18 વોર્ડમાં કરશે હવન - રાજકોટના ડેમો
રાજકોટઃ શહેર કોંગ્રેસ દ્વારા 14 સેપ્ટેમ્બરના રોજ મહાનગરપાલિકાના 1થી 18 વોર્ડમાં હવન યોજવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકોને તેમજ મ્યુનિસિપલ કમિશ્નરને સદબુદ્ધિ મળે તે માટે આ પ્રકારનું આયોજન કોંગ્રેસ દ્વારા કરાયાં હોવાનું શહેર પ્રમુખ અશોક ડાંગરે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલ મેઘરાજાની મહેરબાનીથી સમગ્ર રાજકોટ શહેરમાં સારો વરસાદ આવ્યો છે. તેમજ રાજકોટના ડેમો છલકવી દીધા છે જેથી રાજકોટ શહેરના પીવાના પાણીનો પ્રશ્ને કુદરતે હલ કરી દીધો છે. સારા વરસાદથી રાજકોટની જનતાની આખા વર્ષની પીવાના પાણીની સમસ્યા હલ થઇ ગઇ છે.-

રાજકોટ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા 1 એપ્રિલ 2019 થી પ્રીમોન્સૂન કામગીરી કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ભાજપના શાસકો અને મનપાના કમિશ્નરની અણાવડતના કારણે રાજકોટની જનતાને સારા રોડ રસ્તા, પુરતી ગટર વ્યવસ્થા તેમજ વરસાદી પાણીના નિકાલ અંગેની સમસ્યાઓ બાબતે તંત્રએ ખુબજ લાપરવાહી દાખવી છે. રાજકોટની આ ખાડા-ખાબડા અને પાણી ભરાવાથી હેરાન પરેશાન થયેલી પ્રજા તંત્રને ઓળખી ગઈ છે, જયારે રાજકોટની જનતાના આરોગ્ય, રોડ રસ્તા, પીવાના પાણી, ગટર વ્યવસ્થા અને વરસાદી પાણીના નિકાલ લાઈટીંગ સુવિધા, આપાતકાલિન સમસ્યાઓ વગેરે જેવી પ્રાથમિક સમસ્યાઓ તાત્કાલિક ધોરણે હલ લાવવો જોઈએ તેના બદલે રાજકોટ શહેરની જનતા હાલ આ નાનામોટા પ્રશ્નોથી ત્રાહિમામ પોકારી ગઈ છે. કોંગ્રેસે આક્ષેપો સાથે સમગ્ર રાજકોટ શહેરમાં ઠેર ઠેર વોર્ડ વાઈઝ ભાજપના શાસકો અને મ્યુનિસિપલ કમિશ્નરને સદબુદ્ધી આપે તેવો હવન કરવાનો કાર્યક્રમ યોજશે.